આપણે ત્યાં એક કહેવત છે કે, પોતાના પગ પર જ કુહાડી મારવી. આ કહેવત આજે સુરતના રાજકારણમાં સાર્થક બની છે. કારણ કે, કોંગ્રેસે પોતાના અને પોતાના જ પગ પર કુહાડી મારી છે.
PAAS કોંગ્રેસને કરી ગયું નાપાસ!
ધાર્મિક માલવિયાએ આપ્યો કોંગ્રેસને ફટકો
અંતિમ ઘડિએ માલવિયાએ ન ભર્યું ફોર્મ
આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે કદાચ સુરતની રાજનીતિનો પ્રથમ કિસ્સો હોઇ શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારી નોંધાવવા માટેનો છેલ્લો દિવસ હતો. પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ સુરત કોંગ્રેસમાં એક ફટકો પડ્યો છે. કારણ કે, અંતિમ ઘડીએ જ કોંગ્રેસમાંથી એક વિકેટ ખડી ગઈ છે. જોકે એવું નહોતું કે, કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા. પરંતુ કોંગ્રેસે જે ઉમેદવારને ટિકિટ આપી તેણે ઉમેદવારી ફોર્મ પર સહી કરતા પહેલા જ બાજી પલટી મારી. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ 1 સીટ પર હારી ગઈ. જાણો કેવી રીતે...
પાસના ધાર્મિક માલવિયાની જેણે કોંગ્રેસનો દાવ કરી નાખ્યો છે. ધાર્મિક માલવિયા વાજતે-ગાજતે બળદગાડામાં બેસી ઉમેદવારી નોંધાવવા માટે પણ નિકળ્યા હતા. પરંતુ કોંગ્રેસે પાસના બે દાવેદારોને ટિકિટ આપવાના વચનને ન નિભાવ્યું. અંતિમ ઘડી સુધી બીજા ઉમેદવારને મેન્ડેડ ન મળતા ધાર્મિકે ઉમેદવારી ન નોંધાવી. જોકે આ મુદ્દે જ્યારે માહોલ ગરમાયો છે. ત્યારે પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાએ કોંગ્રેસના સત્તાધિશો પર વાર કરતા પોતાનો રોષ ઠાલવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત PAAS ટીમે 2 ટિકિટની માગ કરી હતી. ત્યાર માંગ ન સંતોષાતા ધાર્મિક માલવિયાએ દાવેદારી પરત ખેંચી હતી. આ અંગે PAASએ કહ્યું હતું કે, વિધાનસભામાં કોંગ્રેસને પાટીદાર સમાજે સાથ આપ્યો. હવે કોંગ્રેસ પાટીદાર સમાજ સાથે અન્યાય કરી રહી છે.
કોંગ્રેસનો દાવ કેવી રીતે થયો?
ઉમેદવારીપત્ર ભરવા સુધી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેમજ અન્ય નેતાઓ સાથે સતત ધાર્મિક માલવિયાએ સંપર્ક કર્યો હતો. તેમના દ્વારા વિલાસબેન ધોરાજિયાને ટિકિટ આપવા માટે મેન્ડેટ આપી દેવામાં આવશે એ પ્રકારની વાત કરી હતી. જેને ધ્યાનમાં લઈને ધાર્મિક માલવિયાએ પણ પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટેની પૂર્વતૈયારીઓ કરીને ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. ઉમેદવારીપત્ર ભરવા પહેલાં તેમણે ફરી એક વખત વિલાસબેનને ટિકિટનો મેન્ડેટ આપવામાં આવ્યો છે કે કેમ એની તપાસ કરી હતી. જ્યારે ધાર્મિકને જાણવા મળ્યું કે હજી સુધી તેમને મેન્ડેટ આપવામાં આવ્યો નથી. જેથી કરી તેમણે પણ ઉમેદવારીપત્ર ભરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જોકે આ રીતે વગર ચૂંટણીએ એક બેઠક ગુમાવતા કોંગ્રેસમાં માહોલ ગરમાયો છે.
જોકે આ પાસ નેતાની ટિકિટ ખડતા હવે કોંગ્રેસને પોતાના પગ પર જ કુહાડી મારી છે. કારણ કે, પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા સહિતના પાસના કાર્યકરો અને આગેવાનોએ કોંગ્રેસને હરાવવાની ચીમકી આપી છે. જોકે કોંગ્રેસ આમ પણ પહેલાથી ખાડામાં છે. તેવામાં આ ખાડો કેવી રીતે ભરાય છે તે આવનાર સમયમાં જોવું રહ્યું.