સુરતમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. સુરતમાં મોટા વરાછામાં ધારા આર્કેડમાં ફાયર સેફ્ટી વિનાની દુકાનો અને ઓફિસો સીલ કરવામાં આવી હતી. જેમાં ઈન્સ્યોરન્સની એક ઓફિસમાં એક કર્મચારી અંદર ફસાઈ ગયો હતો. કર્મચારી ઓફિસમાં સુઈ ગયો હતો. તે સમયે ફાયર બ્રિગેડે બહારથી સીલ મારી દીધું હતું. જ્યારે મીડિયા દ્વારા સિલીંગ કાર્યવાહીનો અહેવાલ દર્શાવાઈ રહ્યો હતો. ત્યારે દુકાનમાં કોઈ વ્યક્તિ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતાં આખરે દુકાનમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢી લેવામાં આવ્યો છે. જોકે આ મોટી બેદરકારી મામલે ફાયર બ્રિગેડના કર્મચારીએ જણાવ્યું કે જ્યારે સીલ માર્યું ત્યારે સિક્યોરિટીને સાથે રાખ્યો હતો. અને શટર ખખડાવીને અંદર કોઈ છેકે નહીં તેનું ચેકિંગ કરીને સીલ માર્યું હતું.