ઓધોગિક શહેર સુરતને બ્રિજ સિટી નામથી પણ ઓળખવામાં આવે છે. 1995 બાદ સુરત શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે સુરત મહાનગર પાલિકાએ 125 નાના-મોટા બ્રિજ બનાવ્યા છે. તાપી નદીની બન્ને કાંઠે વસેલા સુરત શહેરને જોડવા અત્યાર સુધી 18 બ્રિજ બનાવવામાં આવ્યાં છે. પરંતુ 19મો બ્રિજ સુરત મહાનગર પાલિકા માટે માથાનો દુઃખાવો સાબિત થયો છે.
સુરત મહાનગરપાલિકા અત્યાર સુધી શહેરમાંથી પસાર થતી ખાડીઓ પર 60 બ્રિજ, ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે 28 ફ્લાય ઓવર બ્રિજ અને રેલવે પાટાને ઓળંગતા 18 રેલ્વે બ્રિજનું નિર્માણ કરી ચૂકી છે. તો બીજી તરફ પાલિકાએ નદીની બન્ને તરફ વસેલા શહેરને જોડવા 18 બ્રિજ બનાવ્યાં છે. બ્રિજ બનાવવામાં મહારથ હાંસલ કરી ચુકેલી સુરત મહાનગર પાલિકા 19માં બ્રિજના નિર્માણમાં એવી ગૂંચવાઈ ગઈ છે કે, છેલ્લા 4 વર્ષથી તેનો કોઈ ઉકેલ પાલિકાને દેખાતો નથી. સુરતના પાલ વિસ્તારથી પીપલોદને જોડતા બ્રિજનું બાંધકામ 7મી ડિસેમ્બર 2015ના રોજ શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ 4 વર્ષ બાદ પણ આ બ્રિજ અધૂરો છે. અન્ય શબ્દોમાં કહીએ તો હવામાં લટકી રહ્યો છે. હવામાં લટકતો એટલે માટે કે, બ્રિજના એક છેડાનું બાંધકામ પૂર્ણ થયાને 3 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પણ બ્રિજ બીજા છેડા સુધી પહોંચી શક્યો નથી.
બ્રિજના અન્ય છેડા તરફ નથી થયું જમીન સંપાદન
સુરત મહાનગરપાલિકા પાલ આરટીઓથી પીપલોદને જોડતા બ્રિજ માટે અન્ય છેડા તરફની જમીન સંપાદન કરવાનું જ ભુલી ગઈ છે. પાલિકાને આ ભૂલ સમજાઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. પરિણામે બ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તેને જમીન સાથે જોડવાની જગ્યા જ સુરત મહાનગરપાલિકા પાસે નથી. વાંચીને આશ્ચર્ય થયું ને. પણ વાત બિલકુલ સાચી છે. સુરત નગર પાલિકાની આ ભૂલને કારણે છેલ્લા 3 વર્ષથી આ બ્રિજ તૈયાર થઈને હવામાં લટકી રહ્યો છે.
બ્રિજના અધૂરા કામથી સર્જાય છે ટ્રાફિકની સમસ્યા
1992માં તાપી નદી પરના સરદાર બ્રિજ પરથી પસાર થતાં વાહનોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેના આધારે જાણવા મળ્યું હતું કે, સુરતના 50 ટકા લોકો 48 કલાકમાં ઓછામાં ઓછા 1 વાર તાપી નદીના એક છેડેથી બિજે છેડે બ્રિજ ઓળંગીને જાય છે અને તેથી જ ઓફિસ ટાઈમ, શાળાઓના સમય અને તહેવારોમાં કલાકોના ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ છે. આ પ્રશ્નના ઉકેલ પછી પાલિકાએ એક પછી એક બ્રિજ બનાવવાના શરુ કર્યાં અને શહેરના બન્ને તરફના પોશ વિસ્તારને જોડવા 90 કરોડના ખર્ચે પાલ આરટીઓથી પીપલોદને જોડતા બ્રિજનું આયોજન કરવામાં આવ્યું.
22 મકાન માલિકો ઘર ખાલી કરતા નથી
પાલથી બાંધકામ શરુ કરવામાં આવ્યું અને પીપલોદમાં એસવીએનઆઈટી કોલેજ સામે તેને જમીન સાથે જોડવામાં આવનાર હતો. પરંતુ કામ શરુ થઈ ગયા બાદ ઘણા સમય પછી પાલિકાને ધ્યાન પર આવ્યું કે બ્રિજ જ્યાં પૂર્ણ કરવાનો છે ત્યાં તો 22 મકાનો છે. છેલ્લા 3 વર્ષથી પાલિકા બ્રિજને નડતરરુપ 22 મકાનના માલિકો સાથે કેટલીયવાર બેઠક યોજી ચુકી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, પરિણામે બ્રિજ હવામાં લટકી રહ્યો છે.