સુરતમાં તક્ષશિલા આગના મામલે સુરત પોલીસે 2 બિલ્ડરની ધરપકડ કરી છે. બિલ્ડર હરસુલ વેકરિયા અને જિજ્ઞેશ પારઘરાની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
હરસુલ બિલ્ડીંગમાં પાર્ટનર હતો તો જિજ્ઞેશ પારઘરા સમગ્ર બિલ્ડીંગનો વહીવટ સંભાળતો હતો. આરોપી ભાર્ગવ ભૂટાણીના 2 દિવસના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ દ્વારા આગનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું અનુમાન કરવામાં આવ્યુ છે. પોલીસે શહેરના લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે.
મહાનગરપાલિકાના તત્કાલીન ડેપ્યુટી ઈજનેરને સસ્પેન્ડ કરાયા
સુરતમાં તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગના મામલે સુરત મહાનગરપાલિકાના તત્કાલીન ડેપ્યુટી ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈજનેર વીનુ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્થળ પર બાંધકામમાં વિસંગતતા હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અગ્નિકાંડ મામલે મેયર જગદીશ પટેલનું નિવેદન
આ મામલે સુરત મેયર ડૉક્ટર જગદીશ પટેલે પ્રતિક્રિયા આપી છે કે, આ મામલે કોઈ પણ આરોપીઓને છોડવામાં આવશે નહીં. પોલીસ દ્વારા તપાસ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં આ પ્રકારની કોઈ બીજી ઘટના ન બને તે માટે મનપાના અધિકારીઓ પણ એલર્ટ થયા છે. સાથે જ મનપાના અધિકારીઓ દ્વારા 80 ટીમ બનાવીને શહેરના જુદા-જુદા વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. મનપાની ટીમો દ્વારા શોપિંગ મોલ, માર્કેટના વિસ્તાર, શાળાઓ અને સિનેમાં હોલમાં તપાસ કરવામાં આવી હતી. મનપાના અધિકારીઓએ ફાયર સેફ્ટીની પુરી પાડવા માટે કડકાઈથી આદેશ પણ આપ્યો છે.
રાજ્યના મુખ્ય સચિવ કરશે પત્રકાર પરિષદ
આ મામલે રાજ્યના મુખ્ય સચિવ જે.એન સિંઘ પત્રકાર પરિષદ કરશે. મુખ્ય સચિવ જે.એન.સિંઘ પત્રકાર પરિષદ કરીને ખુલાસા કરે તેવી શક્યતા છે. મહત્વનુ છે કે, આ મામલે સીએમ રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ માનવ અધિકાર પંચ દ્વારા ગુજરાત સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.
મહત્વનું છે કે સુરતના સરથાણામાં ટ્યુશન ક્લાસમાં આગ લાગતા 22 વિદ્યાર્થીઓના મોત થયા છે. 22 વિદ્યાર્થીઓના મોત બાદ ફાયર વિભાગ, સરકાર અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.