એક તરફ સરકાર બેટી બચાઓ, બેટી પઢાઓના અભિયાન જોરશોરથી ચલાવી રહી છે. ત્યારે સુરતમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતની ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે
સુરત નર્સીંગ હોમના નામે ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત
મનપમાં રજિસ્ટ્રેશન વગર પ્રેક્ટિસ કરતા બે તબીબ ઝડપાયા
તબીબોએ પાંડેસરામાં નરસિંગ હોમ શરૂ કર્યું હતું
એક સ્ટિંગ ઓપરેશનમાં સમગ્ર હકીકતનો થયો હતો પર્દાફાશ
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી જલારામ ક્લિનિક, લવલી ક્લિનિકમાં ગર્ભપરિક્ષણ થતું હોવાની ફિરયાદો ઉઠી હતી. તેમજ સુરતની કેટલીક હોસ્પિટલોમાં કૂખમાં જ પુત્રીઓની હત્યાની ફરિયાદ SMC ને મળતાની સાથે જ મહાનગર પાલિકાના આરોગ્ય કર્મી અને અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને જલારામ પોલી ક્લિનિક, ઈસુ સાર્વજનીક નર્સિંગ હોમ અને લવલી ક્લિનિક એન્ડ પ્રસૂતિગૃહના તબીબી સામે પોલીસ ફરિયાદ નોધાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગર્ભ પરીક્ષણથી લઇને પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરીને તેને કચરામાં ફેંકવાનું અમાનવીય કૃત્ય થતું હોવાની ફરીયાદ ઉઠી હતી. જેને લઈને પાલિકા દ્વારા મોડે મોડે દરોડા પાડી પર્દાફાશ કર્યો છે.
30 હજાર આપો અને ગર્ભ પરીક્ષણ કરાવો!
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં માતા-પિતાની મિલીભગતથી 30 હજાર રૂપિયા આપી ગર્ભ પરીક્ષણથી લઇને પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરી તેને કચરામાં ફેંકવાનું અમાનવીય કૃત્ય ચાલી રહ્યું હોવાની માહિતી SMC જે મળતાની સાથે જ મનપા તંત્ર દોડતું થઈ ગયું હતું. લિંગ પરીક્ષણ, ગર્ભપાત અને પુત્રીઓની હત્યા કરવામાં આવતું હતું. આ મામલે ડૉક્ટરના એજન્ટો પણ કમિશન લઇને આ ગોરખધંધામાં સંડોવાયેલા છે.
એજન્ટો પુત્રી ના ઇચ્છતા અને ગર્ભ પરીક્ષણ કરાવવા માંગતા લોકોને શોધે
એજન્ટો મોટા ભાગે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ કરે છે. આ કામગીરીમાં સંપૂર્ણપણે ગોપનીયતા રખાય છે, આવી હકીકત સુરત મનપાની મળતા મોડે મોડે જાગેલી પાલિકાની ટીમે દરોડા પાડ્યા હતા. મનપાની ટીમને બાતમી મળી જતા હરકતમાં આવી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં સોનોગ્રાફી મશીન તો મળ્યું ન હતું.
બન્ને મહિલા તબીબની પોલીસે અટકાયત કરી
જોકે અપ્રમાણિત તબીબની સર્ટી હોવાથી જલારામ પોલી કલીનીકના તબીબ નિરૂપા સિન્હા અને લવલી ક્લિનિકના ડો. કમલજીત કૌરને ડિટેઇન કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તંત્ર પણ અત્યાર સુધી જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેવું આ કિસ્સા પરથી લાગી રહ્યું છે ત્યારે આવી રીતેનું કૃત્ય કેટલા સમયથી ચાલતું હશે. તેનો તો કોઈ અંદાજો કરી શકાય નહીં. આ રીતે ગુનામાં સંડોવાયેલ તમામ સામે પણ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
VTVના સળગતાં સવાલ
- ગર્ભનું પરીક્ષણ કરનારા ગુનેગારો દંડાશે?
- દીકરીના દુશ્મનો ઉપર કડક કાર્યવાહી કયારે?
- કેટલા સમયથી ચાલતો હતો આ કાળો ધંધો?
- દીકરીને ગર્ભમાં જ મારી નાંખતા શરમ નથી આવતી?
- શું આવા તબીબો જાતને તબીબ કહેવડાવવાને લાયક છે?
- જે તબીબ ગર્ભપરીક્ષણ કરી રહ્યા છે તેના ઘરે મા-બહેન નથી?
- મહાપાલિકાએ ફરિયાદમાં ગર્ભપાતનો ઉલ્લેખ કેમ ન કર્યો?
- સુરત મહાપાલિકાને કોની શરમ નડે છે?
- જો ફરિયાદમાં જ ગર્ભપાતનો ઉલ્લેખ નહીં હોય તો શું સાબિત થશે?
- સ્ટીંગ ઓપરેશન ન થયું હોત તો મામલો રફે-દફે થઈ ગયો હોત?
- ગુજરાતમાં ગર્ભના ગુનેગારો કેટલા છે?