કોરોના વાયરસના કારણે ભારતમાં સતત કેસમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં શરૂઆતમાં અમદાવાદમાં કોરોના કેસમાં વિસ્ફોટ થયો અને બાદમાં સુરત અને સૌરાષ્ટ્રમાં પણ ઉત્તરોતર કેસમાં વધારો થતો ગયો. ગઈકાલે ભારતનાં દસ રાજ્યોનાં સીએમ સાથે બેઠકમાં પીએમ મોદીએ પણ ગુજરાત સરકારના કાન આમોળ્યા હતા અને ગુજરાત સહીતના અમુક રાજ્યોને ટેસ્ટિંગ વધારવા સૂચના કરાઈ હતી છતાં ગુજરાત સરકારને કોરોના કેસ પકડવામાં રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં તંત્ર દ્વારા ટેસ્ટિંગ વધુ દર્શાવવા માટે માત્ર રેપિડ ટેસ્ટની સંખ્યા વધારી દેવાનો કીમિયો અપનાવવામાં આવ્યો છે.
સુરતમાં કોરોના કેસ ઘટે તે દર્શાવવા તંત્રએ અપનાવ્યો વચ્ચેનો રસ્તો
સુરત શહેરમાં રેપિડ ટેસ્ટની સંખ્યામાં વધારો, પોઝિટિવ આવેલાને કોરોના કેસમાં નથી દર્શાવાતા
સુરતમાં ગયા મહીને કોરોના વાયરસના કેસમાં જોરદાર વધારો થયો હતો. સતત વધતાં કેસના કારણે તંત્રની પણ ચિંતામાં વધારો થ્યો. સતત વધતા કેસો વચ્ચે તંત્રએ વચ્ચેનો રસ્તો અપનાવી લીધો. સુરત શહેરમાં રેપિડ ટેસ્ટની સંખ્યામાં ખૂબ વધારો કરી દેવામાં આવ્યો જેથી એવું બતાવી શકાય કે ખૂબ વધારે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. રેપિડ ટેસ્ટના સહારે તંત્ર કહી રહ્યું છે કે કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે કારણ કે રેપિડમાં પોઝિટિવ આવેલાના તંત્ર કોરોના કેસમાં દર્શાવતું જ નથી.
RT-PCR ટેસ્ટમાં ઘટાડૉ
સુરતમાં અત્યાર સુધીમાં 1.05 લાખ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 14900 લોકો પોઝિટિવ આવ્યા છે. પરંતુ આ આ 14900 પોઝિટિવ લોકોને કોરોના કેસ તરીકે બતાવવામાં આવ્યા નથી તો બીજી તરફ હજારો લોકો નેગેટિવ આવ્યા છતાં RT-PCR ટેસ્ટ કરવામાં આવતા નથી. નેગેટિવ આવેલા 40 જેટલા લોકોના રોજ RT-PCR ટેસ્ટ કરાય છે. RT-PCR ટેસ્ટમાં 40માંથી 1-2 વ્યક્તિ પોઝિટિવ આવે છે.
રેપિડમાં પોઝિટિવ આવેલાને હોમ આઇસોલેશનની પડાઇ છે ફરજ
આટલું જ નહીં રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલ લોકોને હોમ આઈસોલેશનની જ ફરજ પાડવામાં આવી રહી છે. તંત્રની આ નીતિથી શહેરનાં જાગૃત નાગરિકોમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાનો ભય વધી રહ્યો છે અને સવાલો ઉભા થઇ રહ્યા છે કે રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલા લોકોને કોરોના કેસ કેમ બતાવતા નથી? માત્ર ટેસ્ટની સંખ્યા વધારે બતાવવાથી કોરોના સામે જીતીશું ?