સુરત: રાજદ્રોહ કેસમાં આજે અલ્પેશ કથિરિયાની જેલ મુક્તી થવા જઈ રહી છે. ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલે અલ્પેશ કથિરિયાના ઘરે જઈ તેમના માતા પિતા સાથે મુલાકાત કરી હતી. જે બાદ મીડિયા સાથે થયેલી વાતચીતમાં હાર્દિકે જણાવ્યું કે સમાજ માટે જે લોકો લડત ચલાવે છે અને જેલમાં જાય છે.
તેમનું સ્વાગત થવું જોઈએ જેથી સમાજના અન્ય યુવાનોને પણ આ દિશામાં પ્રોત્સાહન મળે. હાર્દિકે વધુમાં કહ્યું કે અલ્પેશ કથિરિયા જેલમાંથી બહાર આવશે એટલે પાસની ટીમ વધુ મજબુત થશે અને અનામત કઈ રીતે મળે તે દિશામાં ચર્ચા વિચારણા કરવામાં આવશે.
મહત્વનું છે કે આ અગાઉ અમદાવાદ રાજદ્રોહ કેસમાં પણ જામીન મળી ચુક્યા છે ત્યારે હવે અલ્પેશ જેલમુક્ત થશે. અલ્પેશ કથીરિયા ચાર મહિનાના જેલવાસ બાદ મુક્ત થઈ રહ્યો છે ત્યારે પાસના કાર્યકરોએ દ્વારા અલ્પેશના સ્વાગત માટે તૈયારી આરંભી દીધી છે. ત્યારે આજરોજ અલ્પેશ કથિરિયાના સુરત ખાતે આવેલા નિવાસ સ્થાને હાર્દિક પટેલે મુલાકાત લીધી હતી અને તેના પરિવારજનોને મળીને વિવિધ મુદ્દે ચર્ચા પણ કરી હતી.