સુરતમાં જીએસટી વિભાગે સામાન્ય મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આશરે 20 જેટલાં લોકોને 1 લાખથી લઈને 2 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતા આશ્ર્ચર્ય સર્જાયુ છે.
GST વિભાગે 20 લોકોને ફટકારી નોટિસ
1 લાખથી લઇને 2 કરોડ સુધીની નોટિસ
પુણા પોલીસે 2 આરોપીની કરી ધરપકડ
સુરત લીંબાયત વિસ્તારના સંજયનગર, મદનનગર વિસ્તારમાં સૌથી પહેલા ગરીબ પરિવારોને રૂપિયા આપવાની લાલચ આપીને તેમના જરૂરી દસ્તાવેજો અને ઓળખકાર્ડ લઈને બેંકમાં ખાતું ખોલાવવામાં આવ્યું હતું. એટલું જ નહિ તેમના પુરાવાના આધારે સીમકાર્ડ પણ લઈ લેવામાં આવ્યા હતા. અને તેને લઈને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પુણા પોલીસે ફરિયાદ નોંધીને બે આરોપીઓની ધરપકડ કરી છે.
સુરતના લીંબયતના સંજયનગર અને મદનનગર વિસ્તારમાં રહેતા આ લોકો મજુરીકામ કરીને તો કોઈ હાથલારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમાંથી કેટલાક લોકો તો ભાડાના મકાનમા રહે છે. પણ આ લોકોને જીએસટી વિભાગે એક લાખ રૂપિયાથી લઈને 2 કરોડ રૂપિયા સુધીની નોટિસ આપતા પરિવારો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.
ઓળખના પુરાવાઓ લઈને 80 લોકો સાથે કરી છેતરપિંડી
સુરતમાં ઓનલાઈન શૂઝ ટ્રેડિંગના બિઝનેસ સાથે જોડાયેલા વ્યક્તિઓ દ્વારા એજન્ટ દ્વારા ગરીબ લોકોને બેંકમાં ખાતા ખોલાવવા રૂપિયા આપવાની લાલચ આપીને તેમના પુરાવાઓ લઈ લેવામાં આવ્યા હતા. અને આ પુરાવાના આધારે જ આખું કૌભાંડ કરવામાં આવ્યું છે. આવા એક બે નહિ પણ અંદાજે 80 જેટલા લોકોની પાસેથી પુરાવાઓ લઈને તેમની સાથે છેતરપીંડી કરવામાં આવી છે. અને આ વાતની જાણ તેમને ત્યારે થઈ જ્યારે તેમના ઘરે લાખો કરોડો રૂપિયા માટે જીએસટીના અધિકારીઓ નોટિસ આપીને ગયા.
છેતરપીંડીનો ભોગ બનેલા લોકો અશિક્ષિત અને ગરીબ
છેતરપીંડીનો ભોગ બનેલા લોકો અશિક્ષિત અને ગરીબ છે. આ નોટીસનો જવાબ કેવી રીતે આપવો તે માટે તેઓ અવઢવમાં મુકાયા હતા. જે બાદ આજે પુણા પોલીસે ફરિયાદ દાખલ કરી હતી અને ટેક્સનું કૌભાંડ કરનાર લૂંગીવાળા બંધુઓની ધરપકડ કરી છે.