સુરતમાં DGVCLની ઘોર બેદરકારીએ ગઇકાલે એક યુવતીનો ભોગ લીધો છે. વરાછાના યોગીચોક નજીક DGVCLના થાંભલામાં ખુલ્લા વાયર હોવાથી યુવતીને કરંટ લાગ્યો હતો. રોડ પરથી લોકો પસાર થઇ રહ્યા હતા ત્યારે આ યુવતી પણ ત્યાંથી પસાર થઇ રહી હતી. જે દરમિયાન તે થાંભલાને અડકતા જ યુવતીને કરંટ લાગ્યો અને ગણતરીની સેકન્ડોમાં તે મોતને ભેટી હતી.
જવાબદારો સામે કાર્યવાહીની માગ બાદ પરિવારે સ્વીકાર્યો મૃતદેહ
ગુરૂવારે DGVCLની બેદરકારીએ સુરતના પુણાગામમાં કરંટ લાગતા યુવતીનું મોત થયું હતું. ત્યારબાદ પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા પરિવારે યુવતીના મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારે હવે પરિવારે યુવતીના મૃતદેહને સ્વીકાર્યો છે. ઈન્ચાર્જ કલેક્ટર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી સ્વીકારાતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે.
DGVCL દ્વારા 4 લાખની સહાય
જવાબદારો વિરૂદ્ધ કડક કાર્યવાહીના આશ્વાસન બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે. જ્યારે મૃતક યુવતીના પરિવારજનોને DGVCL દ્વારા 4 લાખની સહાયનો ચેક પણ આપવામાં આવ્યો છે.
DGVCLના અધિકારીઓ સામે ગુનો દાખલ
આ મામલે પોલીસે DGVCLના અધિકારીઓ સામે ફરિયાદ કરવામાં આવી હતી. DGVCLના અધિકારીઓ સામે ગુનાહિત બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કર્યા બાદ અધિકારીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરાશે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. CCTVમાં DGVCLની બેદરકારી સામે આવી છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે.
ક્યાં સુધી આવી બેદરકારી રાખશે ?
વરાછાના યોગીચોક નજીક DGVCLના થાંભલામાં ખુલ્લા વાયર હોવાથી યુવતીને કરંટ લાગ્યો અને મોત નીપજ્યું. ત્યારે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છતાં પણ DGVCLએ કોઇ યોગ્ય કામગીરી ન હતી કરી. ત્યારે DGVCL આવી ઘોર બેદરકારીના કારણે યુવતીનું મોત નિપજ્યું. જો કે આ પહેલી જગ્યા નથી સુરતમાં અનેક સ્થળો પર જોખમી વાયર અને ટ્રાન્સફોર્મર હાલ પણ ખુલ્લી હાલતમાં છે. ત્યારે અહિંયા સવાલ ઉઠી રહ્યા છે કે, DGVCL ક્યાં સુધી આવી બેદરકારી રાખશે ? અગાઉ રજૂઆત કરવામાં આવી છતા પણ કેમ ઊંઘમાં રહ્યું DGVCL ?
15 દિવસમા 6 લોકોના કરંટથી થયા મોત
સુરતમાં ખુલ્લા વાયરના કારણે વીજ કરંટથી યુવતીનું મોત નિપજ્યું છે. ત્યારે આ મામલે યુવતીના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો છે. જો કે DGVCLની આ બેદરકારી પહેલીવાર નથી વારંવાર DGVCL દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે. DGVCLની બેદરકારીએ 6 લોકોના ભોગ લીધા છે. જેમાં સુરતમાં એક, અંકલેશ્વરની હોટલમાં વીજકરંટથી બેના મોત થયા. છોટઉદેપુરમાં વીજકરંટથી કિશોરીનું મોત નિપજ્યું. જ્યારે ગોંડલમાં એક મહિલાનું વીજકરંટના કારણે મોત થયું છે. અને આ તમામ મોત પાછળ DGVCLની બેદરકારી જવાબદાર છે.