રાજ્ય સરકારની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવીને શાળા કાર્ય શરૂ કરનારી ગજેરા સ્કૂલને લઈને રૂપાણી સરકાર એક્શનમાં આવી છે.
ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગ શરૂ કરવા મોંઘા પડ્યા
CM રૂપાણીએ કાર્યવાહી કરવાના આપ્યા આદેશ
સરકારના આદેશને ઘોળીને પી ગઈ હતી સુરતની ગજેરા સ્કૂલ
સરકારના નોટિફિકેશનનો ભંગ કરીને ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરનારી ગજેરા સ્કૂલ સામે સ્થાનિક વહીવટી તંત્ર અને સરકારે લાલ આંખ કરી છે. તો સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, ગાંધીનગર શિક્ષણ નિયામકે તપાસના આદેશ આપ્યા છે તો મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને શિક્ષણ વિભાગની સ્થાનિક ટીમ તાબડતોબ શાળાએ પહોંચી છે.
CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન
ઉલ્લેખનીય છે કે, સરકારના આદેશને ઘોળીને પી જનારી શાળા મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. વડોદરામાં આયોજીત એક કાર્યક્રમ સમયે પત્રકાર પરિષદને સંબોધતા CM રૂપાણીએ જણાવ્યું હતું કે, નોટિફિકેશનનો ભંગ સરકાર ચલાવશે નહીં, સુરતના અધિકારીઓ કાર્યવાહી કરશે.
શું છે સમગ્ર મામલો?
સુરતની ગજેરા વિદ્યાલય ફરી વિવાદમાં આવી છે. ગજેરા સ્કૂલ દ્વારા ધોરણ-6થી 8ના ઓફલાઇન વર્ગ શરૂ કરી દેવાયા છે. જો કે સરકારે હજુ પણ ધોરણ-6થી 8ના વર્ગની પરવાનગી નથી આપી. સાથે જ ગજેરા સ્કૂલે ધોરણ-1થી 4ની પરીક્ષા લેવાનું પણ શરૂ કરી દીધું છે. ત્યારે વાલી અને ગજેરા સ્કૂલના મહિલા કર્મીનો એક ઓડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે સ્કૂલના ઓફલાઇન ક્લાસ શરૂ થઇ ગયા છે.
VTVના અહેવાલ બાદ પોલીસે કરા કાર્યવાહી
આ અંગે વીટીવીમાં અહેવાલ બાદ પોલીસની ટીમ સ્કૂલમાં પહોંચી અને સ્કૂલને બંધ કરાવી હતી. આ અંગે પોલીસ અધિકારીએ કહ્યું કે શાળા ચાલું હતું. અને હાલ બાળકોને ઘરે મોકલવામાં આવ્યા છે. અને તેમને નિયમો તોડ્યા છે તો તેમની સામે કાર્યવાહી થશે. શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે ગજેરા સ્કૂલે શિક્ષણ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કેમ કર્યું?. શું ગજેરા સ્કૂલને બાળકોના સ્વાસ્થ્યની કોઇ ચિંતા જ નથી?. બાળકો સંક્રમિત થશે તો જવાબદારી કોણ લેશે?. ગજેરા સ્કૂલ માસૂમ બાળકોના જીવ સાથે કેમ રમત રમે છે?. ગજેરા સ્કૂલ કેમ સરકારની ગાઇડલાઇન નથી માની રહી?. આવી સ્કૂલની માન્યતા જ કેમ રદ નથી કરી દેવાતી?.