સુરતની ગજેરા વિદ્યાલયમાં સરકારની મંજૂરી વગર જ શિક્ષણ શરૂ કરી દેવામાં આવતા સ્થાનિક પોલીસ એક્શનમાં આવી છે અને તાબડતોબ શાળાએ પહોંચી હતી.
સુરતની ગજેરા વિદ્યાલય આવી વિવાદમાં
ધોરણ-6થી8ના ઓફલાઈન વર્ગ શરૂ કરી દેવાયા
સરકારે હજુ સુધી નથી આપી પરવાનગી
VTV દ્વારા સમગ્ર મામલો દર્શાવવામાં આવ્યો હતો અને જેને લઈને પોલીસે કાર્યવાહીના ભાગ રૂપે શાળામાં અભ્યાસ કરવા માટે આવેલા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી બહાર કાઢ્યા હતા અને સંચાલકો સામે વધુ તપાસ હાથ ધરી હતી.
શું છે સમગ્ર વિવાદ?
સુરતની ગજેરા વિદ્યાલય ફરી વિવાદમાં આવી છે. ગજેરા સ્કૂલ દ્વારા ધોરણ-6થી 8ના ઓફલાઇન વર્ગ શરૂ કરી દેવાયા છે. જો કે સરકારે હજુ પણ ધોરણ-6થી 8ના વર્ગની પરવાનગી નથી આપી. સાથે જ ગજેરા સ્કૂલે ધોરણ-1થી 4ની પરીક્ષા લેવાનું પણ શરૂ કરી દીધું છે.
ઓડિયો થયો હતો વાયરલ
ત્યારે વાલી અને ગજેરા સ્કૂલના મહિલા કર્મીનો એક ઓડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે સ્કૂલના ઓફલાઇન ક્લાસ શરૂ થઇ ગયા છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે ગજેરા સ્કૂલે શિક્ષણ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કેમ કર્યું?. શું ગજેરા સ્કૂલને બાળકોના સ્વાસ્થ્યની કોઇ ચિંતા જ નથી?
બાળકો સંક્રમિત થશે તો જવાબદારી કોણ લેશે?. ગજેરા સ્કૂલ માસૂમ બાળકોના જીવ સાથે કેમ રમત રમે છે?. ગજેરા સ્કૂલ કેમ સરકારની ગાઇડલાઇન નથી માની રહી?. આવી સ્કૂલની માન્યતા જ કેમ રદ નથી કરી દેવાતી?