સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં આગથી સર્જાયેલી કરુણાંતિકા એમ નજીકના ભવિષ્યમાં લોકમાનસમાંથી ભૂંસાઈ શકે તેમ નથી. આ કરુણાંતિકાએ જ્યાં તમામ દેશવાસીઓના હૈયા હચમચાવી નાખ્યા છે તો બીજી તરફ આ આગે તંત્રને પણ સજાગ થવા ચેતવી દીધી છે.
જો કે સરકાર લાખ પ્રયાસ કરે તો પણ એ વાલીઓની છીનવાયેલી ખુશી એમ કદીએ પરત ફરી શકે તેમ નથી. હા આગથી તંત્ર કંઈક ધડો લે તો ભવિષ્યમાં અનેક જિંદગી મોતના મુખમાં હોમાતી બચી શકે એ જ વાતનો એક માત્ર દિલાસો બચ્યો છે. જોઈએ આ અહેવાલ.
સુરતમાં સર્જાયેલી આગહોનારતની કરુણાંતિકાએ અનેક પરિવારોના સપના અને ખુશીઓ પર રાખ ફેરવી દીધી છે. આખો પર ચશ્મા પહેરીને ભવિષ્યના સોનેરી સપના જોઈ રહેલી હસ્તિ હવે આપણી વચ્ચે નથી રહી હવે માત્ર આપણને પુષ્પહાર ચડાવેલી આ તસવીરમાં જ તે જોવા મળશે. કેમ કે અનેક યુવાઓ સાથે તેને પણ બેદરકાર તંત્રએ આગમા સ્વાહા કરી દીધી છે.
હસ્તીએ થોડા સમય પહેલાજ બોર્ડ પરીક્ષા આપી હતી. જે દિવસે આગની ઘટના બની એના બીજા દિવસ હસ્તીની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું. બીજા દિવસે હસ્તીનું પરિણામ આવ્યું. હસ્તી 67.39 પરસેન્ટાઈલ સાથે પાસ થઈ.
પરંતુ હૈયું હચમચાવી દેનારી ઘટનામાં હસ્તીનું મૃત્યુ થઈ ગયું. માતા પિતા પોતાની દીકરીના સપનાઓ સાકાર કરવા માટે દીકરીને ભણાવી ગણાવી રહ્યા હતા. પરંતુ આ ભ્રષ્ટાચારના ભરડામાં માતાપિતાની ઉમ્મીદ પર આગની જ્વલાઓ પ્રસરી ગઈ.
આ બહુ ચર્ચિત અગ્નિકાંડમાં મ્યુનિતંત્ર અને ફાયર વિભાગની ગંભીર બેદરકારીના ખુલાસા થયા છે. સરકાર દ્વારા પીડિત પરિવારોને જે પણ સહાય કરવામાં આવી છે એનાથી તેમના પરિવારને આર્થિક મદદ તો મળશે પરંતુ લાડકાં દીકરી અને દીકરાઓ ગુમાવવાનું દુ:ખ તેમને જીવનભર કોરી ખાશે.
હિતેશભાઈનો પરિવાર લાડકી દીકરી ગુમાવતા એવો તો શોકમાં ગરકાવ થઈ ગયો છે કે તેમાંથી બહાર આવતા હજુ ઘણો સમય લાગશે. તેઓ ભલે કશું બોલી ન શકતા હોય પરંતુ તેઓ મૌન રહી પૂછી રહ્યા છે કે આખરે તમને અમારી દીકરી છીનવવાનો હક કોણે આપ્યો? તમારા વહીવટની ઝાળમાં અમારા સંતાનોને કેમ ભરખી ગયા?
અરેરાટી ફેલાવનારા આ અગનકાંડે સમગ્ર દેશમાં સ્થાનિક પ્રસાશન સામે સવાલો ઉભા કરી દીધા છે. સ્માર્ટ સીટી તરીકે ઓળખાતા સુરતમાં આવી ગંભીર ઘટના અગાઉ પણ બની હતી. આવી ગંભીર ઘટનાઓ બનવા છતાં અને આટલી અત્યાધુનિક સુવિધાઓ હોવા છતાં. 22બાળકોના જીવ બચાવવામાં તંત્ર ઊણુ ઉતર્યું જેણે તંત્ર અને સરકારી વ્યવસ્થાપન પર અશ્રદ્ધાતો ઊભી કરી જ છે. સાથે નાગરિકોમાં પણ ભય ઊભો કર્યો છે..