સુરતના સરથાણા વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. તક્ષશિલા એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. આ એપાર્ટમેન્ટમાં ક્લાસિસ ચાલતું હતું. જેમાં 30થી વધુ વિદ્યાર્થીઓ અને લોકો હતા. આ આગની દુર્ઘટનામાં 21 લોકોના મોત થયાની આશંકા છે.
સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગથી અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. આ એપાર્ટમેન્ટમાં ક્લાસિસ ચાલતા હતા. જ્યારે અહીં 40 જેટલા વિદ્યાર્થીઓ અને લોકો હતા. આ એપાર્ટમેન્ટના બીજા માળે આગ પ્રસરી હતી. ઘટનાસ્થળે 18થી વધુ ફાયરવિભાગની ગાડીઓ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. અહીં ક્રેનની મદદથી બચાવ કામગીરી હાથધરવામાં આવી રહી છે. આ વિકરાળ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ બિલ્ડિંગ એક કલાક સુધી સળગતું રહ્યું હતું. જેમાં અનેક લોકોએ જીવ બચાવવા બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી હતી. જ્યારે ફસાયેલા લોકોને બહાર કાઢવા ફાયર વિભાગે જહેમત હાથ ધરી હતી.
જોકે અહીં ચોથા માળ પર એક રૂમમાં વિદ્યાર્થીઓ હતા. એક રૂમમાં વિદ્યાર્થીઓ ભરાઇ ગયા હતા. આ તમામને નીચે ઉતારવામાં આવી રહ્યા છે. અહીં વિદ્યાર્થીઓ બેભાન હાલતમાં મળી આવ્યા છે. જેમને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે.
હાલ અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફંસાયેલા વિદ્યાર્થીઓ અને લોકોના સ્વજનોએ અહીં પહોંચી આક્રંદ કર્યું હતું. બીજી તરફ ફાયર બ્રિગેડ દ્વારા અંદરથી લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયરબ્રિગેટ અને સેવાકીય સંસ્થાઓના લોકો ઉપર બચાવ કામગીરી માટે પહોંચ્યા હતા.
સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ફાયરવિભાગની ગાડીઓ ઘટનાસ્થળે મોડી પહોંચી હતી. જેને લઇને આગ વધુ વિકરાળ બની હતી. બીજી તરફ
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
આગને લઈને મુખ્યમંત્રી તેમજ નાયબમુખ્યમંત્રીએ શોકની લાગણી વ્યક્ત કરી હતી અને મૃતકોના પરિજનોને રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત કરી હતી.
Gujarat CMO on fire at a coaching centre in Sarthana area of Surat: Chief Minister Vijay Rupani has ordered an investigation into the incident. CM has also declared financial help of Rs 4 lakh each to the families of children who died in this incident https://t.co/50oRpdmk5Y
સુરત આગની ઘટના પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
સુરતમાં આગની ઘટનાને લઇ પીએમ મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, સુરતમાં આગની દુર્ઘટનાથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. મૃતકોના પરિજનો પ્રત્યે મારી સંવેદના છે. જે ઇજાગ્રસ્ત છે તે જલ્દી સાજા અને સારા થાય તેવી મારી લાગણી છે. જે આ દુર્ઘટનાનો ભોગ બનેલા છે તેને ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર શક્ય તમામ મદદ પૂરી પાડે.
Extremely anguished by the fire tragedy in Surat. My thoughts are with bereaved families. May the injured recover quickly. Have asked the Gujarat Government and local authorities to provide all possible assistance to those affected.
આ આગમાં બિલ્ડિંગ સળગીને ખાખ થઇ ગયું હતું. જ્યારે અનેક વાહનો અને દુકાનો પણ સળગી ગઇ હતી. આ દુર્ઘટનાના દ્રશ્યો અતિ ગંભીર હતા.
સુરત કમિશ્નર સતિશ શર્માનું નિવેદન
સુરત કમિશ્નર સતિશ શર્માએ વીટીવીને જણાવ્યું કે, આગએ તપાસનો વિષય છે. અત્યારે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ઉપરથી 7-8 વિદ્યાર્થીઓ બચવા માટે ઉપરથી કૂદી પડ્યા હતા.
ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું...
આ મામલે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે, વહિવટી તંત્રએ કોઇ બાંધછોડ કરવી ન જોઇએ. મને એવું લાગે છે વહિવટ તંત્રએ આમાં ગંભીરતાથી કામ કરવું જોઇએ.
સી.આર.પાટીલનું નિવેદન
આ પ્રકાર ઘટનાઓ પરથી જ તંત્ર રહી રહીને જાગે છે, ત્યારે સી.આર.પાટીલે કહ્યું કે જેતે જવાબદાર લોકો સામે પગલા લેવા જોઇએ. આ મામલે હાલ બચાવની કામગીરી કરાઇ રહી છે. આગામી સમયમાં આ પ્રકારની ઘટના ન બને તેવા પ્રયાસો કરવામાં આવશે.
સુરતના સરથાણામાં આગજનીની એક કાળમુખી દુર્ઘટનાએ 15થી વધુ લોકોનો ભોગ લઈ લીધો છે. ત્યારે આ ઘટનાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ભૂપેન્દ્ર ચૂડાસમાએ કહ્યું કે, સુરતમાં જે ઘટના બની છે જેને લઇને હું દુઃખ વ્યક્ત કરૂ છું. આ ઘટનાની જાણ થતા જ હું અને મુખ્યમંત્રી સ્થાનિક તંત્રના સંપર્કમાં છીએ. મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે. 3 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે, અગાઉ બનેલી ઘટના બાદ અમે જવાબદારને દોષિત જાહેર કર્યા હતા. તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ફાયર સેફ્ટિનું કામ કરવાની કોર્પોરેશનની જવાબદારી છે. આ મામલે હાલ પોલીસ કમિશ્નર કાર્યવાહી કરી રહ્યા છે.
સુરત કોર્પોરેશનનું નિવેદન
આ મામલે કોર્પોરેશન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગને ચાર મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી. ફાયરસેફ્ટ ન હોવાથી ગેરકાયદેસર હોવાનું અગાઉ જણાવાયું હતું. પરંતુ માલિકો અને સંચાલકો દ્વારા એક્શન લેવામાં આવ્યા ન હતા.
ત્યારે અનેક સવાલો થાય છે કે, આગની ઘટનાઓ વારંવાર કેમ બને છે? ફાયર સેફ્ટી વિનાની ઇમારતો સામે કેમ નથી કરાતી કોઇ કાર્યવાહી? શું પ્રજાની જાનહાની થાય ત્યા સુધી તંત્ર રહેશે નિષ્ક્રિય? ગેરકાયદેસર ચાલતા ક્લાસીસ સામે તંત્ર કેમ ઉદાસીન? ક્લાસીસમાં સેફ્ટીનું ધ્યાન રાખવાની જવાબદારી કોની? કાર્યવાહી માટે તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે? ફાયર વિભાગ કેમ ઉદાસીન વલણ દાખવે છે? ટેક્સ વસુલવા પહોંચી જતી મનપાની સુરક્ષામાં કેમ પાછીપાની? લોકોના મોત માટે જવાબદાર કોણ ?