સુરતના તક્ષશિલા આર્કેડના ટ્યૂશન ક્લાસમાં લાગેલી આગમાં 20થી વધુના મોત થયા હતા. જેને લઇને સમગ્ર રાજ્ય અને દેશમાં ચકચાર મચી જવા પામી હતી. હવે આ મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે સુરત ફાયર વિભાગ દ્વારા પોતાનો તપાસ રિપોર્ટ SMCને સોંપવામાં આવ્યો છે.
સુરતમાં તક્ષશિલા આર્કેટ અગ્નિકાંડ મામલે ફાયર વિભાગે પોતાનો તપાસ રિપોર્ટ SMC કમિશ્નરને સોંપ્યો છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે, ફાયરને કોલ મળતા જ 5 મિનિટમાં ટીમ પહોંચી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. સીડી ગોઠવી જવાનોએ 3 કિશોરીઓને બચાવી હતી. એક બાળક કુદી રહ્યો હતો તેને પણ બચાવી લેવાયો હતો. મહાનગર પાલિકા ખાસ સામાન્ય સભામાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.
ફાયર વિભાગના રિપોર્ટ સામે અનેક સવાલો
ત્યારે રિપોર્ટ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કે શું ફાયર વિભાગે પોતાના રિપોર્ટમાં ખૂદને જ ક્લીન ચીટ આપી દીધી છે ? કારણ કે, 5 મિનિટમાં ફાયર વિભાગ પહોંચ્યુ હોવાના દાવામાં કેટલી તથ્યતા ? તે તપાસનો વિષય છે. જો 5 મિનિટમાં જ ફાયર વિભાગની ટીમ પહોંચી હોય તો તક્ષશિલામાં આગ આટલી ઊગ્ર કેમ બની શકે?
આ ઉપરાંત રિપોર્ટમાં અપુરતા સાધનો સાથે પહોંચ્યાનો ઉલ્લેખ કેમ નથી કર્યો ? ત્યારે શું આવા તપાસ રિપોર્ટ રજૂ કરીને કોઈને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ?શું આવા રિપોર્ટ રજૂ કરીને કુલડીમાં જ ગોળ ભાંગવાના પ્રયાસ થઈ રહ્યા છે ? 3નો જીવ બચાવ્યાનો દાવો કરો છો તો 22ના મોત પાછળ કોણ જવાબદાર ?
શું ફાયર વિભાગ પાસે ચોથા માળે પહોંચી શકે તેવી સીડી હતી કે નહીં તેનો ઉલ્લેખ કેમ નથી કરતા ? જો સીડી હતી તો કેમ આટલી બધી જાનહાની થઈ ? માત્ર 5 જ મિનિટમાં પહોંચ્યા તો કેમ બધાને ના બચાવી શક્યા ? સૌથી અગત્યની વાત તો એ છે કે, તમે આટલા પોકળ દાવા કરી રહ્યા છો ત્યારે વાલીઓના આરોપ અને તમારા રિપોર્ટમાં વિરોધાભાસ કેમ જોવા મળી રહ્યો છે?
કોંગ્રેસ કોર્પોરેટર વિજય પાનસૂરિયાના ગંભીર આક્ષેપ
કોંગ્રેસ કોર્પોરેટર વિજય પાનસૂરિયાએ ગંભીર આક્ષેપ કર્યા છે. પાનસૂરિયાએ જણાવ્યુ છે કે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે બાળકો કુદી રહ્યાં હતાં. તક્ષશિલા આર્કેડમાંથી ત્રીજા માળેથી બાળકો કુદી રહ્યાં હતાં. આગ લાગી ત્યારે ફાયર વિભાગની કોઇ કામગીરી ચાલતી ન હતી. જેના કારણે ઘટના વધુ ગંભીર બની ગઇ હતી.
આમ, તક્ષશિલા આર્કેડમાં આગ લાગી ત્યારે ફાયર વિભાગ દ્વારા જો સતર્કતા દાખવવામાં આવી હોત તો બાળકોને બચાવી શકાત તેમ તેમણે કહ્યુ હતું. તો સુરત પાલિકાના કમિશ્નર અને મેયર અધિકારીઓને બચાવી રહ્યા હોવાનો પણ વિજય પાનસૂરિયાએ આક્ષેપ કર્યો છે.
સભામાં કોંગ્રેસના કોર્પોરેટ દેવરાજ ગોપાણીએ વ્યક્ત કર્યો આક્રોશ
સુરત તક્ષશિલા આગકાંડનો મામલો સામાન્ય સભામાં ઉછળ્યો હતો. સભામાં કોંગ્રેસના કોર્પોરેટ દેવરાજ ગોપાણીએ આક્રોશ વ્યક્ત કર્યો હતા અને મનપાના અધિકારીઓની લાલિયાવાડી સામે રોષ ઠાલવ્યો હતો. ગોપાણીનો આક્ષેપ છે કે, અનેક DGVCLના ટ્રાન્સફોર્મરમાં જીવતા બૉમ્બ જેવી સ્થિતિ છે. ટ્રાન્સફોર્મરના જોખમ બાબતે પણ તપાસ થવી જોઈએ.
મહત્વનું છે કે, સુરતમાં તંત્રની ચુકને કારણે ગંભીર દુર્ઘટના ઘટી હતી. જેમાં 22 બાળકોએ પોતાની જિંદગી ગુમાવી હતી. તેમ છતા તંત્રના પેટનું પાણી હલ્યું નથી. ત્યારે સુરતની સામાન્ય સભામાં આ મુદ્દે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.