સુરતના અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા રાજ્યભરની ક્લાસીસ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા. ત્યારે હવે બનાસકાંઠામાં ટ્યુશન ક્લાસીસ બંધ રહેતા સંચાલકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી.
પાલનપુર ટ્યુશન ક્લાસીસના સંચાલકો અને વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ફાયર સેફ્ટીના સાધનો હોવા છતા તંત્ર NOC ન આપતા હોવાની સંચાલકોએ રજૂઆત કરી હતી. આ મામલે ટ્યુશન સંચાલક અને વિદ્યાર્થીઓએ મળીને કોંગ્રેસના MLA મહેશ પટેલને આવેદન પત્ર પણ આપ્યુ હતુ. આ મામલે 2 દિવસમાં યોગ્ય નિર્ણય કરવા માટે રજૂઆત કરી હતી. 2 દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો કચેરી સામે ધરણાની ચીમકી ઉચ્ચારાઈ છે.
તમને જણાવીએ કે, ફાયર સેફ્ટીની NOC ન મળતા સંચાલકોએ બગીચામાં ટ્યુશન ક્લાસ શરૂ કર્યા છે હતા. સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી હોવાથી શિક્ષણ કાર્ય પૂર્ણ કરવાનું દબાણ થઈ રહ્યુ છે. ત્યારે NOC ન મળતા વિદ્યાર્થીઓનુ શિક્ષણ બગડે છે. તંત્ર દ્વારા જ્યાં સુધી ફાયર NOC નહી આપવામાં આવે ત્યાં સુધી બગીચામાં ભણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા બે દિવસ અગાઉ શહેરના ટ્યૂશન સંચાલકોએ ખાનગી ફાયર સેફ્ટીના સાધનનું વેચાણ કરતાં વેપારી પાસેથી ફાયર સેફ્ટીની તાલીમ મેળવી ફાયર સેફ્ટીના સાધનો વસાવાયા પરંતુ શહેરની પાલિકા દ્વારા એનઓસી ન અપાતાં ટ્યુશન સંચાલકો પોતાના ટ્યૂશન ખોલી શક્યા નહોતા ત્યારે શહેરના વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધેલી હોવા છતાં ટ્યુશન ક્લાસિસ ખોલી ન શકતા વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેને લઈ એક સંચાલકે સોશિયલ મીડિયા દ્વારા પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો હતો.