સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા 2 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. એચ. કે. આચાર્ય અને કે. જી. મોડના રિમાન્ડની કોર્ટમાં માગ કરવામાં આવી હતી. આ મામલે બચાવ પક્ષના એડવોકેટ દ્વારા એવો આક્ષેપ કર્યો હતો કે, અમદાવાદ ફાયર ચીફ એમ.એફ.દસ્તુરના દિકરાનો ફાયદો કરાવવામાં આવી રહ્યો છે.
કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ડિવિઝનલ ઓફિસરની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા સુરતના ફાયર ઓફિસર કિર્તિ મોડએ પ્રથમ નંબરે પાસ કરી અને દસ્તુરના દિકરાનો બીજો નંબર આવ્યો હતો.
મોડને તક્ષશિલા કેસમાં તેમને સંડોવી દઈ ધરપકડ કરવામાં આવતા તેનો સીધો લાભ દસ્તુરના દિકરાને કરાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો. ત્યારે હવે મોડની ધરપકડ થતાં તેઓ સિલેકશનમાંથી બહાર નીકળી ગયા છે. આ પરિક્ષાનો દસ્તુરના દીકરાને ફાયદો થાય તે માટે ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ કરાયા છે.