સુરતના ટ્યુશન ક્લાસિસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધી 20ના મોત થયા છેઆ ઘટનાથી માત્ર સુરત કે ગુજરાત નહીં દેશભરના તમામ લોકો શોકમાં છે.
18 બાળકોના મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે સુરતના અશ્વિની કુમા સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે મૃતક બાળકના પરિવારની સાથે સાથે સુરત તથા રાજ્યના ઘણા લોકો આ સ્મશાનયાત્રામાં જોડાયા હતા, સામાન્ય લોકોની આંખોમાં આંસુની સાથે સાથે તંત્ર સામે રોષ પણ ભરાયેલો જોવા મળ્યો હતો.
એક સાથે 18 અર્થી ઉઠતા સુરત હિબકે ચડ્યુ હતુ અને કોણે કોને છાના રાખે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. સ્મશાનયાત્રા દરમિયાન સન્નાટો છવાઇ ગયો હતો, દરેક લોકો ગમગીન જોવા મળ્યા.
ઉલ્લેખનીય છે કે, સુરતના સ્થાનિક લોકો ગઇ કાલ સાંજથી મૃતકોના પરિવારજનોની પડખે ઉભુ રહ્યુ હતુ. આખી રીત સુરતીઓએ પરિવારજનોને હૂંફ આપવા માટે ખડેપગ ઉભા રહ્યા.
સુરતમાં થયેલી આ દુર્ઘટના પગલે રાજ્યભરના ગેરકાયદેસર ચાલતા તમામ ટ્યુશન કલાસિસ પર રોક લગાવી દેવામાં આવી હતી. તો બીજી તરફ બિલ્ડર હસમુખ વેકરિયા અને તેમના પાર્ટનર જિજ્ઞેશ જેમણે તક્ષશિલા બિલ્ડિંગમાં ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે ચણી દીધો હતો અને ફાયર સેફ્ટીનાં સાધનો જ ન હતાં તેમની સામે પોલીસે આઇપીસી 304 હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ ઘટના પછી રાજ્યના મુંખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની મદદ કરવાની સહાયની જાહેરાત કરી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાને લઇને દુખ વ્યકત કર્યુ હતુ.