સુરતના ખેડૂત સમાજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ખેતી વિષયક લોનના વ્યાજની માફી અંગે કરી રજૂઆત
ખેડૂત સમાજનો લોન માફી માટે સરકારને પત્ર
ખેતી વિષયક લોન માફ કરવાની માગ
પોષણક્ષમ ભાવ ન મળતા હોવાનો પત્રમાં ઉલ્લેખ
ગુજરાત ખેડૂત સમાજે લોન માફી માટે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ખેડૂતોએ ખેતી વિષયક લોનના વ્યાજની માફી અંગે રજૂઆત કરી છે. છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે પોષણક્ષમ ભાવ ન મળતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. લોનનું વ્યાજ માફી અને હપ્તા પદ્ધિતિને લંબાવવાની માગ કરાઈ. સાથે ધિરાણ આપનાર સંસ્થાને ટકાવી રાખવા સરકાર તરફથી સહાય આપવાની માગ ઉઠી છે.
ખેડૂતોએ પોતાની વ્યથા દર્શાવતા કહ્યું, કોવિડ મહામારીના કારણે હાલમાં શુગર ફેક્ટરીએ શેરડીના જાહેર કરેલી કિંમતમાં ટને 400નો તફાવત આવ્યો છે. જ્યારે ડાંગરના ભાવમાં પણ ક્વિન્ટલે રૂપિયા 100ની કિંમત ઓછી મળી રહી છે. તો બીજી તરફ શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ ફટકો પડ્યો છે. બજારમાં ડુંગળી અને બટાકાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.
છેલ્લા એક વર્ષથી જે પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે. તેમાં ખેડૂતો માટે સહકારી ધિરાણ મંડળીઓમાંથી લીધેલા ધિરાણની ચૂકવણી કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. કેટલાક ખેડૂતો લોનનું ફક્ત વ્યાજ પણ ચૂકવી શકે તેમ નથી. જેને લઈ સરકારે ખેત ઉત્પાદનની લોનની ચૂકવણી નીતિમાં ફેરફાર કરવા જોઈએ. લોનનું વ્યાજ માફ કરી મુદલ લોન ના હપ્તા સરળ કરવા અપીલ કરી છે.
રાજ્યમાં કોરોનાના વધતા કહેરની વચ્ચે છેલ્લા એક વર્ષથી ટ્રાવેલ્સ ઉદ્યોગની હાલત કફોડી થઈ છે. ત્યારે અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળ દ્વારા ટ્રાવેલ ઉદ્યોગ માટે આર્થિક પેકેજની માગ કરવામાં આવી છે. સાથે જ મોટર વિહિકલ ટેક્ષ એપ્રિલ 2021 થી સપ્ટેમ્બર 2021 સુધીનો માફ કરવા અને ઓક્ટોબર 2021થી માર્ચ 2022 સુધી 50 ટકા માફ કરવાની પણ માગ કરાઈ છે.
આ મામલે અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળે સરકારને પત્ર લખીને જાણ કરી છે. પરંતુ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરાયો છે. તેમજ જો આગામી 18 એપ્રિલ સુધી માગ નહી સ્વીકારાય તો અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.