સુરત દુર્લભ પટેલ કેસ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 4 પોલીસકર્મીઓને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. જમીન માફિયા અને પોલીસની સાંઠગાંઠ આ આપઘાત કેસથી ઉઘાડી પડી ગઈ હતી.
સુરત દુર્લભ પટેલ કેસ મુદ્દે મોટી કાર્યવાહી
4 પોલીસકર્મીઓને પોલીસ કમિશનરે કર્યા સસ્પેન્ડ
રાંદેર PI લક્ષ્મણ બોડાણાને સસ્પેન્ડ કરાયા
સુરત દુર્લભ પટેલ કેસ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 4 પોલીસકર્મીઓને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. રાંદેર PI લક્ષ્મણ બોડાણાને સસ્પેન્ડ કરાયા છે. તો પોલીસ કોન્સ્ટેબલ અજય બોપાલા, રાઇટર કિરણસિંહ અને કોન્સ્ટેબલ વિજય શિંદેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચારેય સામે આત્મહત્યા માટે દુષ્રેરણાનો ગુનો નોંધાયો હતો. CCTV ફૂટેજની પોલીસ દ્વારા તપાસ કરાઇ છે.
પીસાદની જમીન વિવાદનું કેન્દ્ર
પાટીદાર અગ્રણી દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં વિવાદનું કેન્દ્ર બનેલી પીસાદની હજાર વાર જેટલી જમીનના ભાવ સતત વધતાં ગયા હતા. બીજી તરફ ITની નોટિસ અને ચેકથી ચૂકવવાની થતી રૂપિયા ત્રણ કરોડની રકમ મામલે વિવાદ સતત વધતો જ રહ્યો હતો. જે અંતે દુર્લભ પટેલને આત્મહત્યા સુધી પ્રેરી ગયો હતો. અલબત્ત, પોલીસ તપાસ ચાલી રહી હોય આવનારા સમયમાં જમીન વિવાદમાં અત્યાર સુધી છુપા રહેલાં અનેક રહસ્ય પરથી પડદાં ઉંચકાઈ શકે છે. જમીનનો સોદો થયો ત્યારે અને હાલ બજાર કિંમતમાં 20 કરોડ જેટલો ઉછાળો આવ્યો છે. જેના કારણે આરોપીઓના ત્રાસથી દુર્લભભાઈએ આપઘાત કર્યો હતો.
આ 11 લોકો સામે નોંધાયો ગુનો
લક્ષ્મણસિંહ બોડાણા (PI),
કિરણસિંહ (રાઈટર),
રાજુભાઈ લાખાભાઈ ભરવાડ (લસકાણા),
હેતલ દેસાઈ (વેસુ),
ભાવેશ કરમસિંહ સવાણી (કતારગામ),
કનૈયાલાલ નરોલા (કતારગામ),
કિશોર ભુરાભાઈ કોશિયા (અઠવા),
વિજય શિંદે,
મુકેશ કુલકર્ણી,
અજય બોપાલા,
રાંદેર પોલીસનો અન્ય સ્ટાફ
શહેરમાં આવેલ રાંદેર વિસ્તારમાં ખાતેની એક સોસાયટીમાં રહેલા દુર્લભભાઇ પટેલની સુરતના માંડવીના ખંજરોલી ગામે ક્વોરી આવેલી છે. ખંજરોલી ગામેથી માંડવી ક્વોરી જવાનું કહીને નીકળેલા દુર્લભભાઇ ન પહોંચતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. જો કે આ સમય દરમિયાન ક્વોરી નજીક ખાણ પાસેથી તેમના ચંપલ, મોબાઇલ મળી આવ્યાં.
જો કે તેમની જ ક્વોરીની ખાણમાંથી દુર્લભ ભાઇ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ માન્યુ હતું. જો કે પોલીસના ધમાધમાટ વચ્ચે તેમની ઓફીસમાં શોધખોળ કરતાં એક ચિઠ્ઠી મળી આવી હતી.