સુરતની વિનસ હોસ્પિટલમાં દર્દીઓએ ભારે હોબાળો કર્યો હોવાંની ઘટના સામે આવી છે. મહિલા દર્દીનું મોત થતાં પરિવારજનોમાં ઉગ્ર રોષ જોવાં મળ્યો હતો. રોષે ભરાયેલાં પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
તબીબની બેદરકારીથી દર્દીનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ હોસ્પિટલે પહોંચી ગઇ હતી. મહત્વનું છે કે પીએમ મોદીનાં હસ્તે જ બુધવારનાં ગઇ કાલનાં રોજ આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું. 40 કરોડનાં ખર્ચે બનાવેલ વિનસ હોસ્પિટલનાં લોકાર્પણનાં બીજા જ દિવસે હોબાળો થયો.
ઉલ્લેખનીય છે કે સુરતમાં બુધવારનાં રોજ વિવિધ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદી કતારગામ પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ટેક્નોલોજીથી સજ્જ કરાયેલી એવી 112 વર્ષ જૂની વિનસ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. 40 કરોડનાં ખર્ચે તૈયાર થનાર વિનસ હોસ્પિટલને મોદીએ લોકો માટે ખુલ્લી મૂકી હતી. ત્યાર બાદ તેઓએ સમગ્ર હોસ્પિટલનું નિરીક્ષણ પણ કર્યું હતું. અહીં તેમણે ગુજરાતીમાં સભા પણ સંબોધી કરી હતી.
હોસ્પિટલને ઉભી કરનાર સુરતનાં વેપારી સેવંતીલાલ શાહ માટે પીએમ મોદીએ કહ્યું હતું કે 'મારું સૌભાગ્ય છે કે મને આટલાં ટૂંકા ગાળામાં જ ગુજરાતમાં બે આધુનિક હોસ્પિટલનાં ઉદ્ઘાટનનું સૌભાગ્ય મળ્યું. અમદાવાદમાં સરદાર પટેલનાં નામ સાથે આધુનિક હોસ્પિટલ તૈયાર થઇ તેમજ હું સુરતમાં વર્ષોથી સેવંતીભાઈને જોવું છું એક ગ્રામ વજનનો ફર્ક નથી પડ્યો. તેઓ મૂલ્યોને વળીને રહે. મૂલ્યો પ્રતિ તેમની પ્રતિબદ્ધતા અમૂલ્યવાન છે. તેમનો એવો આગ્રહ હતો કે હું હોસ્પિટલનાં ઉદ્ઘાટનમાં આવું.'