હાલ સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. સુરતના કતારગામમાં આવેલા ગોધાણી જેમ્સમાંથી 250 રત્નકલાકારોને છૂટા કરી દેવાતા રત્નકલાકારો રોષે ભરાયા હતા. કંપની નુકસાન કરતી હોવાનું કહીને રત્નકલાકારોને છૂટા કરી દેવાતા રત્ન કલાકારો રત્નકલાકાર વિકાસ સંઘને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
એક સમયે ડાયમંડની ચમકથી ચમકતું સુરત દરેક રત્ન કલાકાર માટે સપનાનું શહેર હતું. અહીં લાખો કારીગરો ડાયમંડ પર પહેલ પાડીને પોતાના જીવનધોરણને પણ ઓપ આપતા હતા. સુરતનો હીરા ઉદ્યોગ અનેક લોકો માટે રોજી રોજીનો મોટો આધાર હતો. પરંતુ હાલ સુરતમાં હીરા ઉદ્યોગની ચમક ફિકી પડી છે તેમ નહી. પરંતુ હાલ આ ઉદ્યોગ પર મંદીની કાળાશ છવાઈ ગઈ છે.
હાલમાં હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. નાના મોટા કારખાનાઓ બંધ થતાં રત્નકલાકારોની હાલત કફોડી થઈ રહી છે ત્યારે કતારગામના જડીવાળા કમ્પાઉન્ડમાં આવેલી ગોધાણી જેમ્સ નામની કંપનીમાંથી એક સાથે 250 રત્નકલાકારોનો છૂટા કરી દેવાયા છે. જેથી રત્નકલાકારો વિકાસ સંઘની ઓફિસ પહોંચીને પોતાની રજૂઆત કરી હતી. એક તરફ દિવાળી આવી રહી છે. તેવા સમયમાં રત્નકલાકારોને છુટા કરાતા તેઓની હાલત કફોડી બની જવા પામી છે.
રત્નકલાકારોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી મંદીનો સામનો તેઓ કરી રહ્યાં છે. ત્યારે કંપનીના મેનેજમેન્ટ દ્વારા કંપની લોસ કરતી હોવાનું કહીને તમામને છૂટા કરી દેવામાં આવ્યાં છે. જેના કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે.
કારીગરોને છૂટા કરવાના નિયમ મુજબ કોઈ જ પગાર કે ભથ્થા કે વળતર આપવામાં આવ્યું નથી જેથી તેઓ રત્નકલાકાર વિકાસ સંઘની ઓફિસ આવીને રજૂઆત કરી હતી. રત્નકલાકાર વિકાસ સંઘના જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, હાલ સુરતના તમામ ઉદ્યોગો મંદીનો સામનો કરી રહ્યાં છે.
સામી દિવાળી આવી રહી છે ત્યારે હવે કારખાનામાંથી છૂટા કરી દેતા તેમને ક્યાં જવું તે પ્રશ્ન છે. સાથે જ પરિવારનો નિભાવ કેમ કરવો તે પણ સમસ્યા છે. હાલ આ કારખાનામાંથી છૂટા કરાયા છે તો બીજે જગ્યા મળે તેવું પણ નથી. રાતો રાત તમામને છૂટા કરી દેવાયા છે. અમે રત્નકલાકારોના હિત માટે લડત ચલાવીશું અને તમામને તેમના હક્ક મળી રહે તે માટે અમે પગલાં લઈશું.
ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યું છે. જેને લઈને કારીગરોને નોકરીમાંથી છુટ્ટા કરવામાં આવી રહ્યા છે. કેટલાક કારીગરો કંપનીમાં 40 વર્ષથી નોકરી કરી રહ્યા હોય તેવા કારીગરોને પણ છુટા કરી દેવામાં આવે છે. જેને લઈને કારીગરોની હાલત કફોડી બની છે. અન્ય ઉદ્યોગોમાં પણ મંદી હોવાના કારણે અન્ય નોકરી મળવાનું પણ અઘરું થઇ ગયું છે. એક તરફ તહેવારો તો બીજી તરફ દિવાળી પણ આવી રહી છે. જેને લઈને કારીગરોની હાલત દયનીય થઇ ગઈ છે.