કોરોના વાયરસને લઈ વિશ્વમાં મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આખી દુનિયા કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતમાં પણ સાવચેતીના ભાગરૂપે આવતીકાલે જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આજથી તેની અસર જોવા મળી રહી છે. ત્યારે સુરતના હીરા ઉદ્યોગને આગામી 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યો છે.
સુરતમાં કોરોના વાયરસના કુલ 3 કેસ પોઝિટિવ આવ્યા છે. ત્યારે કોરોના વાયરસને પગલે ડાયમન્ડ એસો, જેમ્સ & જવેલરી એક્સપોર્ટ પ્રમોશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરતનો હીરા ઉદ્યોગ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા કર્મીઓને સુચન આપ્યા છે.
કોરોના વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સુરતમાં લોકોએ દુકાનમાં કરિયાણા લેવા માટે લાઈનો લગાવી છે. પીએમ મોદીએ દેશવાસીઓને જનતા કર્ફ્યૂ રાખવાની અપીલ કરી છે. સાથે જ પીએમ મોદીએ દેશમાં શાકભાજી, કરિયાણું પુરતુ હોવાનું પણ આશ્વાસન આપ્યુ છે. તેમ છતા શહેરમાં લોકો દ્વારા શાકભાજી અને કરિયાણાનું સંગ્રહ કરવામાં આવી રહ્યું છે. ઘઉં, ચોખા કઠોળની લોકો મોટી માત્રમાં ખરીદી કરી રહ્યા છે. ત્યારે VTV લોકોને સંગ્રહ ન કરવાની અપીલ કરે છે. જરૂરિયાત કરતા વધુ સામગ્રીઓનો સંગ્રહ ન કરવો જોઇએ.
સુરતમાં કોરોના વાયરસના 3 પોઝિટીવ કેસ
સુરતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરેન્ટાઈન કરાયા છે. સુરતમાં કોરોના વાયરસના કુલ 3 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે આમાના બે વ્યક્તિના કેસ પોઝિટિવ આવ્યા છે તેમના સંપર્કમાં કુલ 24 લોકો આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તમામ લોકોને 2 અઠવાડિયા માટે ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખવાનો નિર્ણય કરાયો છે. હીરા વેપારીના સંપર્કમાં કુલ 7 લોકો આવ્યા હતા. જ્યારે અન્ય યુવકના સંપર્કમાં કુલ 17 લોકો આવ્યા હતા. વીર નર્મદ યુનિવર્સિટીમાં સમરસ હોસ્પિટલમાં ક્વોરેન્ટાઈન સેન્ટર ઉભુ કરાયું છે.