ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે સુરત શહેરમાંથી હીરા ઉદ્યોગની ચમક ઘટી ગઇ હતી. કોરોના પછી લોકડાઉન દરમિયાન રત્નકારીગરો પોતાના વતન પરત ફરી ગયા હતા. આ સાથે દુનિયાભરમાં કોરોનાની મહામારીના કારણે હિરા ઉદ્યોગના આંતરરાષ્ટ્રિય વેપાર પર પણ તેની અસર જોવા મળી હતી. જો કે હવે ધીરે-ધીરે હીરા ઉદ્યોગમાં ચમક જોવા મળી રહી છે. ત્યારે સૌથી મહત્વના સમાચાર એ છે કે મુંબઇની 100 જેટલી કંપનીઓએ સુરતથી વેપાર શરૂ કર્યો છે.
સુરતમાં હીરા ઉદ્યોગનો ચળકાટ વધશે
મુંબઇ સ્થિત ડાયમંડ કંપનીઓનું સુરત સ્થળાંતર
100 જેટલી કંપનીઓએ સુરતથી વેપાર કર્યો શરૂ
મુંબઇ સ્થિત 100 જેટલી ડાયમંડ કંપનીઓએ સુરતમાં સ્થળાંતર કર્યું છે. મુંબઇની 100 જેટલી કંપનીઓએ શહેરમાંથી વેપાર શરૂ કર્યો છે. સુરત શહેરનું ડાયમંડ બુર્સનું સપનું સાકાર થવા માટે હજુ વધુ કંપનીઓ શહેરમાં આવી શકે છે.
જો કે મુંબઇથી ડાયમંડ કંપનીઓના સ્થળાંતર પાછળ મોટુ કારણ છે કે હવે સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થઇ ગયું હોય બિઝનેસ માટે અનુકુળ પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે શહેર બહારની કંપનીઓની સુરતમાં આવવાની ગતિ ધીમી પડી ગઇ હતી.
જો કે હવે અનલોક-4માં ફરી કંપનીઓ સુરત તરફ વળી રહી છે. આમ કોરોનાકાળ દરમિયાન સુરત શહેરમાં હીરા ઉદ્યોગની ચમક ફરી વધી રહી છે.