આરોપી પરનો પોલીસનો ગુસ્સો ક્યારેક પોલીસને જ આરોપી બનાવી દે છે આ વાતની સાબિતી સુરત કસ્ટોડિયલ ડેથ કેસમાંથી મળી રહેશે. પોતાના ગુસ્સા પર અંકુશ ન રાખી શકનારા અને આરોપીને મરણતોલ માર મારનારા પોલીસકર્મીઓ હજુ પા ફરાર છે અને આ તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમને શોધવા હાંફળા બન્યા છે. ત્યારે અસામાજિક તત્વોને ભૂગર્ભમાંથી ખોળી કાઢતી પોલીસ પોતાના જ કર્મીઓને શોધવા હજુ અંધારામાં ફાંફા મારી રહી છે. જોઈએ આ અહેવાલમાં.
સુરતમાં ચોરીના આરોપીને મોતની ચાદરમાં સુવડાવનાર સાત જેટલા પોલીસકર્મીઓ હવે ખુદ આરોપી બનીને ફરાર થઈ ગયા છે આ ઘટનાને 48 કલાક જેટલો સમય વીતવા છતા નથી તો પોલીસ આરોપીએ હાજર થયા કે નથી તો તેમના ઉચ્ચ અધિકારીઓ તેમનું પગેરું ખોળી શક્યા. ફરાર આરોપી પોલીસકર્મીઓ ક્યારે ઝડપાશે તે સમયના ગર્ભમાં છૂપાયેલો જવાબ છે પરંતુ તે પહેલા પોલીસને ફરાર થવા દબાણ કરતી એ ઘટના પર થોડી નજર નાખવી પડશે.
ખટોદરા પોલીસ મથકની હદમાં અને ઉધના પોલીસ મથકની હદમાંઘરફોડ ચોરીની બે ઘટના બની હતી. ગત શુક્રવારે ત્રણેય ચોરીના બનાવમાં આરોપીઓને પોલીસ સ્ટેશનમાં બોલાવાયા હતા. પરંતુ પૂછપરછ દરમિયાન પોલીસનો પિત્તો ગયો અને પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓએ આરોપીઓને ઢોર માર માર્યો હતો. ઢોરમાર મારવાથી ઓમપ્રકાશ પાંડેને બ્રેઈનડેડ જેવી ગંભીર ઈજા થઇ હતી.
જેને પ્રથમ નવી સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ બાદ શનિવારે પોલીસ અધિકારીઓએ સારવારનું નાટક કરી અંતે આરોપી ઓમપ્રકાશ મૃત હોવાનું સ્વીકાર્યુ હતું. તે પછી પોલીસકર્મીઓ સામે ઢોરમાર મારવાનો અને બાદમાં હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપી પ્રકાશ પાંડે કસ્ટોડીયલ ડેથ મામલે ડીસીપી સ્પેશિયલ બ્રાંચ તપાસ કરી રહી છે. ડીસીપી ચિંતન તેરૈયા આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે SDM પણ સિવિલ હોસ્પિટલ પહોંચીને મૃતકનું ફોરન્સિક સાથે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતું. પોસ્ટ મોર્ટમ બાદ અધિકારી ચિંતન તેરૈયાએ સ્વીકાર્યું હતું કે, આરોપીનું ગંભીર ઇજાના કારણે મૃત્યુ થયું છે પરંતુ મૃત્યુના સમય અંગે પોલીસ હજુ પણ મૌન સેવી રહી છે.
કસ્ટોડીયલ ડેથ મામલે 24 કલાકથી પણ વધુ સમય થયો છે પરંતુ પોલીસના હાથ ખાલી છે. 24 કલાક વિત્યા હોવા છતા પણ ઘટનામાં સંડોવાયેલા 7 આરોપી પોલીસકર્મીઓ ખટોદરાના પીઆઈ મોહનલાલ ભગવાનરામ ખિલેરી ,પીએસઆઈ ચિરાગ પૃથ્વીરાજ ચૌધરી ,કોન્સ્ટેબલ કલ્પેશ નાગર ગરંભા, આશિષ મનસુખ દિહોરા,હરેશ જેસંગ ચૌધરી, પરેશ નાથા ભુકણ અને કનકસિંહ જેઠુ દિયોલ હજુ ફરાર છે.
ત્યારે સવાલ એ છે કે, શું આરોપી PI,PSIને પકડવાનું પોલીસ માટે એટલું કપરું છે?. ગુનેગારોને ગણતરીના કલાકોમાં જ પકડતી પોલીસ હજુ પણ કેમ લાચાર છે ?. શું અંદરખાને આરોપી પોલીસકર્મીઓને બચાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ તમામ સવાલો છે જે હાલ પોલીસ તંત્રની ઢીલી કામગીરની લઇને ઉઠી રહ્યા છે.