ખટોદરા ડી સ્ટાફ સહિતના પોલીસકર્મી સામે ફરિયાદના મામલે ઘણા ફેરફાર થયા છે. ધરપકડ બાદ ડી સ્ટાફના કોન્સ્ટેબલ કુલદીપને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી કુલદીપના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ કર્મીઓ સામે ફરિયાદ કરનાર સોનું યાદવે પત્ર લખ્યો છે.
ઉચ્ચ પોલીસ અધિકારીને પત્ર લખીને સોનુએ તપાસ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમજ ડી સ્ટાફના પોલીસ કર્મીઓને બચવાના પ્રયાસ થઈ રહ્યાંના આક્ષેપ છે. તો ખટોદરા પોલીસ સ્ટેશનના PI દિપક ગોર ફરિયાદીને ધમકાવી રહ્યાંના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
તો આ મામલે મહત્વના સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ફરિયાદીના પત્ર બાદ ઉચ્ચ પોલીસ અધિકારીએ PIને તપાસમાંથી હટાવ્યા છે. મોડી સાંજે ખટોદરા PI દિપક ગોર પાસેથી તપાસ આંચકી સેવામાં આવી છે. હવે આ સમગ્ર મામલે DCP ચિંતન સરૈયાને તપાસ સોંપવામાં આવી છે.
અપહરણ કરી સોનુ યાદવને પોલીસે માર્યો હતો માર
સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથના મામલે ખટોદરા પોલિસના કેશિયર સહિત ચાર પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ મારથી જે ઓમપ્રકાશ પાંડેનું મોત થયું હતું તે કેસમાં જ અન્ય સોનુ યાદવ નામના યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો. સોનુ યાદવ સેકન્ડેડ કાર લે વેચનું કામ કરે છે તેમજ સોનુ ચોરીની કાર વેચતો હોવાનો આક્ષેપ છે. મૃતક ઓમપ્રકાશ સહિતના આરોપીઓએ એક લાખ રૂપિયા કાર ખરીદવા માટે આપ્યા હોવાના આક્ષેપ સાથે ખટોદરા ડી સ્ટાફે તેને માર માર્યો હતો.
ખટોદરા પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફના કેશિયર કુલદીપસિંહ રાઠોડ, કનકસિંહ, પરેશ તેમજ ડી સ્ટાફના રિક્ષાચાલક અને અન્ય એક પોલીસકર્મી સામે આ ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ ઓમપ્રકાશ પાંડેના કસ્ટોડીયલ ડેથ મામલે ખટોદરા પોલીસ સ્ટેશનના તત્કાલીન PI મોહન ખીલેરી સહિત આઠ પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.