સુરત કોર્ટે હત્યાના ગુન્હામાં અને દુષ્કર્મના કેસમાં આરોપીઓ સામે આકરું વલણ અપનાવી 5 માસમાં 4 આરોપીઓને ફાંસીના માચડે લટકાવી દેવા ચુકાદો આપ્યો છે.
સુરત કોર્ટે છેલ્લા 4 માસમાં 3 ફાંસીની સજા ફટકારી
ફેનિલ, અનિલ યાદવ, ગુડ્ડુ યાદવ અને દિનેશ બૈસાણે ફાંસીની સજા
આરોપીઓને ફાંસીની સજા ફટકારી દાખલારૂપ ચુકાદા
હત્યાના કેસોમાં સંડોવાયેલ ઉપરાંત સગીરાઓ પર દુષ્કર્મ કેસના આરોપીઓ વિરુદ્ધ સુરત કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. કોર્ટે છેલ્લા 5 માસમાં દુષ્કર્મ ઉપરાંત હત્યાના કેસના 4 આરોપીઓને સજાએ મોતના ચૂકાદાઓ કર્યો છે. કોર્ટે આરોપીઓને ફાંસીની સજા ફટકારી દાખલારૂપ ચુકાદા આપ્યા છે. કોર્ટના આ આકરા વલણને પગલે કુકર્મ કેસના કસૂરવારોમાં ફફડાટ ફેલાયો છે.
ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસીની સજા
આજે સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસના દોષિત ફેનિલ ગોયાણીને સુરતની કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. 12 ફેબ્રુઆરીના દિવસે પાસોદરામાં ગ્રીષ્માને આરોપી ફેનિલે તેની સોસાયટીના બહાર પાડોશીઓ વચ્ચે ગાળામાં ચાકુ મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં ગ્રીષ્માને બચાવવા માટે વચ્ચે પડેલા તેના ભાઈ અને કાકા પર પણ ફેનિલે જીવલેણ હુમલો કર્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે ઘટના એટલી ક્રૂર હતી કે લોકો દ્વારા આ કેસમાં આરોપીને ફાંસીની સજા થાય તેવી માગણી કરવામાં આવી હતી.
આ કેસ ડે-ટુ-ડે ચલાવવામાં આવ્યો હતો જેમાં લગભગ 70 દિવસ સુધી તેની ટ્રાયલ ચાલી હતી. આ કેસમાં ફેનિલને ફાંસી સજા થાય તેવી માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ કેસના ચુકાદાને ગ્રીષ્માના પરિવાર સહિત લોકોએ પણ આવકાર્યો છે. આ કેસમાં બનાવ સમયનો વિડીયો અને મોટી સંખ્યામાં હાજર લોકો મહત્વનો પુરાવો સાબિત થયા હતા. કોર્ટ દ્વારા વિડીયોની ખરાઈ પણ કર્યા બાદ ચુકાદો ફરમાંવવામાં આવ્યો છે.
આરોપી દિનેશ બેસાણેને ફાંસીની સજા
વધુ એક કેસની વિગત અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 7મી ડીસેમ્બર 2020ના રોજ 10 વર્ષની બાળકી ગુમ થઇ હતી. જે મામલે બાળકીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસ તપાસમાં બાળકી મૃત હાલતમાં ઉધના BRC કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી પાસે ઝાડીઓમાંથી મળી હતી. પોલીસે બાળકીના મૃતદેહનો કબ્જો લઇ હત્યાનો ગુનો નોંધ્યો હતો. FSL રીપોર્ટમાં બાળકી ઉપર રેપ થયો હોવાનું ખૂલ્યું હતું. ત્યાર બાદ પોલીસે આ મામલે આરોપી દિનેશ બેસાણેની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં દુષ્કર્મ કર્યા બાદ બાળકીએ આંગળીમાં બચકુ ભર્યુ હતું. આથી આરોપી રોષે ભરાઇને બાળકીના માથાના ભાગે ઈટ મોતને ઘાટ ઉતારી દઈ નાશી છૂટયો હોવાની કબુલાત આપી હતી.પોલીસે બાત્કાર, હત્યા કેસમાં તપાસ પૂર્ણ કરી દિનેશ સામે 21 ડિસેમ્બર 2020ના રોજ પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે 36 જેટલા સાક્ષીઓની 250 પાનાંની ચાર્જશીટ CCTV ફૂટેજ, DNA વગેરે પ્રુફ સમાવેશ કરી ત્યારબાદ ફક્ત 13 દિવસની અંદર એટલે કે 21 ડિસેમ્બરના રોજ પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટમાં કાર્યવાહી શરૂ થઈ હતી. આ કેસમાં સુનાવણી પૂર્ણ થઇ હતી.આરોપી દિનેશને દોષીત જાહેર કર્યો હતો. સુરત કોર્ટે દ્વારા દોષિત આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
ગુડ્ડુ યાદવને સજાએ મોત
આ અગાઉ સુરતમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં સંડોવાયેલ આરોપી ગુડ્ડુ યાદવ સામે પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.આરોપીએ બાળકીનું તેના ઘરમાંથી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું જે બાદ ઘરથી થોડા અંતરે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. 3 દિવસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને પોલીસે 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારે હવે આ મામલે સરકારી વકીલ નયન સુખડવાલાએ નિવેદન આપ્યું હતું. પોલીસે રેકોર્ડ બ્રેક સાત જ દિવસમાં પોકસો કેસોની ખાસ અદાલતમાં 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. દિવાળીની રાત્રે દુષ્કર્મ આચરી હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. આરોપી ગુડ્ડુ મધેશ યાદવને ફાંસીની સજા ફટકારાતાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
દુષ્કર્મ-હત્યા કેસના આરોપી અનિલ યાદવને ફાંસી
આ અગાઉ સુરતના ગોડાદરા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ આરોપી અનિલ યાદવે હત્યા નીપજાવી હતી .બાળકીનો પરિવાર જે મકાનમાં રહેતો હતો તેના નીચેના મકાનમાં જ રહેતા અનિલ યાદવે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાળકી મોટા અવાજે રડવા લાગતા ગભરાયેલા અનિલે તેનું ગળું દબાવી દીધું હતું. હત્યા કર્યા પછી લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી તેના પર બે ડોલ મૂકી દીધી હતી. પોલીસે બંધ મકાનનું તાળું તોડતા બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. આ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરાયા બાદ સ્પીડી ટ્રાયલ કોર્ટે સાત મહિનામાં 71 સાક્ષીઓ તપાસ્યા હતા. ત્યારબાદ સુરતની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવી દુષ્કર્મ-હત્યા કેસના આરોપી અનિલ યાદવને ફાંસીની સજા ફટકારી હતી. કોર્ટે મેડિકલ પુરાવ, એફએસએલ પુરાવા, સીસીટીવી ફૂટેજ વગેરે પુરાવાના આધારે ચુકાદો સંભળાવ્યો હતો.
હત્યા કેસમાં હર્ષસહાયને ફાંસી
વર્ષ 2018 સુરત ખાતે એક 11 વર્ષની કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ તેના છ દિવસ પછી વધુ એક મહિલાની લાશ મળી હતી. આ અંગે પોલીસ દ્વારા કરાયેલ તપાસમાં કિશોરી પર બળાત્કાર થયો હોવાનું ખૂલ્યું હતું અને બાદમાં તેની હત્યા કરી નાખવામાં આવી હતી. વધુમાં મહિલાને ગળેફાંસો આપીને ગળેફાંસો આપી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સીસીટીવી સામે આવતા માતા-દીકરીની હત્યા થઈ હોવાનું શોધી કાઢ્યું હતું. આ કેસમાં નરાધમે દીકરીની સામે માતાની હત્યા કરી હતી. બાદમાં કિશોરીને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ પ્રકરણમાં આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જરને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.
3 વર્ષમાં દુષ્કર્મની 1,568થી વધુ ઘટના બની
એકલા ગુજરાતમાં 3 વર્ષમાં દુષ્કર્મની 1,568થી વધુ ઘટના બની ચૂકી છે. ‘ડેથ પેનલ્ટી ઇન ઇન્ડિયા 2020’ અનુસાર, દેશમાં છેલ્લા 5 વર્ષમાં કોર્ટો દ્વારા દ્વારા વિવિધ ગુનાઓમાં કુલ 606 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે, જેમાં 240 આરોપીઓ દુષ્કર્મના છે. તો ગુજરાતમાં 6 આરોપીઓ ફાંસીની સજાના વેઇટિંગ લિસ્ટમાં છે. 2016થી 2020 સુધી રાજ્યમાં કુલ 11 આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.