સાજન ભરવાડ તરફથી કેસ લડનાર વકીલ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા છે.
સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલાનો મામલો
આરોપી સાજન ભરવાડ તરફી જામીન અરજીની માંગ ફગાવી
સુરત કોર્ટે સાજન ભરવાડના જામીન નામંજૂર કર્યા
સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલા મામલે આરોપી સાજન ભરવાડ તરફી જામીન અરજીની માંગ કરવામાં આવી હતી પણ સુરત કોર્ટમાં આજે થયેલી સુનાવણી બાદ ચુકાદા દરમિયાન કોર્ટે સાજન ભરવાડના જામીન નામંજુર કરી દીધા છે. જેમાં મેહુલ તરફે સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી.
પોલીસની સારી કામગીરી પર સાજન ભરવાડે પાણી ફેરવ્યું: સરકારી વકીલ
આ અગાઉની સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરતા કહ્યું હતું કે, 'સાજન ભરવાડ TRB જવાન છે. દંડ ઉઘરાવવાની કે દંડો રાખવાની સત્તા TRB જવાન પાસે નથી. સાજન ભરવાડે પોલીસની સારી કામગીરી પર પાણી ફેરવ્યું. આરોપી હત્યાના પ્રયાસની માનસિકતા રાખતો હોય એવું જણાઈ આવે છે.' જણાવી દઇએ કે, સાજન તરફે વકીલ મિનેશ ઝવેરીએ કોર્ટમાં દલીલો કરી હતી.
સાજન ભરવાડ તરફથી કેસ લડનાર વકીલને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા
ઉલ્લેખનીય છે કે, સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે આ ઘટનામાં વકીલ મંડળની મળેલી સામાન્ય સભામાં એવો નિર્ણય લેવાયો હતો કે સાજન ભરવાડ તરફથી કોઈ વકીલે કેસ ન લડવો. પરંતુ મિનેશ ઝવેરીએ પોતાનો વકીલ ધર્મ બજાવતા તેઓ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર હતા. તેના પ્રત્યાઘાત રૂપે હવે એડ્વોકેટ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા છે.
અગાઉ આ ઘટનાને લઇ પોલીસ અધિકારીઓ પર તવાઈ બોલાવાઇ હતી
વધુમાં આ ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં આવતા 37 TRB જવાનોને પણ ડિસમીસ કરી દેવાયા હતા. તો સાથે મોડી ફરિયાદ લેનાર સરથાણા PIની બદલી કરી દેવાઇ હતી. PI એમ.કે ગુર્જરને કંટ્રોલરૂમમાં મુકાયા હતા. તદુપરાંત એમ.કે ગુર્જર સહિત અન્ય 4 PIની આતંરિક બદલી કરી દેવાઇ હતી. વધુમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મુકાયા હતા તો સરથાણા PI તરીકે વી.એલ પટેલને ફરજ સોંપવામાં આવી હતી.
જાણો શું હતી સમગ્ર ઘટના?
થોડાંક દિવસ અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.