સુરતઃ ડુમ્મસ નજીક ઓલપાડનાં એક ખેડૂત દંપતીએ સિચાઈનું પાણી નહીં મળતાં તેઓએ આપઘાત કરી લીધાનાં અહેવાલમાં એક નવો જ વળાંક આવ્યો છે. ઓલપાડનાં જયેશભાઈ અને રીટાબેન નામનાં ખેડૂત દંપતીએ કરેલાં આપઘાતની પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે મૃતક દંપતી આર્થિક રીતે સદ્ધર છે.
તેઓએ પરિવારમાં ચાલતાં વિખવાદને પગલે આત્મહત્યા કરી હોય તેવી પૂરી શક્યતા છે. સિંચાઈનાં પાણીનાં અભાવે આત્મહત્યા કરી હોવાંની વાતમાં તથ્ય જણા તું નથી. મૃતકનાં પરિવારજનોએ પણ આ મામલે ખુલાસો કરતાં જણાવ્યું છે કે દંપતીનાં મોતનું કારણ પિયતનાં પાણીની તંગી નથી.
પરિવારજનોનાં જણાવ્યાં પ્રમાણે મૃતક દંપતીનાં મકાનમાં 6 મહિના પહેલાં આગ લાગી હતી. વળી તેમણે ખેતરમાં 3 વખત બોર પડાવ્યાં હતાં કે જે નિષ્ફળ રહેતાં આર્થિક નુકસાન થયું હતું. જેનાં કારણે તેઓ તણાવમાં રહેતાં હતાં. તેમનાં આપઘાત પાછળનું આ એક કારણ પણ હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે સુરતનાં ઓલપાડનાં કપાસી ગામમાં રહેતા ખેડૂત જયેશ પટેલે પોતાની પત્ની સાથે ઝેરી દવા પી જઇને આપઘાત કરી લીધો હતો.
ખેડૂત દંપતીનાં સજોડે આપઘાતથી જેટલા મોઢા એટલી વાતો શરૂ થઈ ગઈ હતી. જો કે પોલીસે અને પરિવારે ખુલાસો કરતાં ઘર કાંકસને કારણે દંપતીએ આપઘાત કર્યાનું કહેવાય છે.