સુરત શહેરને કોરોના મહામારીએ ભરડામાં લીધુ છે ત્યારે 150થી વધુ સંગઠનોએ 48 કલાકનું સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનો નિર્ણય કર્યો
સુરતમાં મોટાભાગના વિસ્તારમાં જનતા કર્ફ્યૂ
આજથી ત્રણ દિવસ માટે બંધ
ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન
સુરતમાં 48 કલાકના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. 150થી વધુ સંગઠનોએ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. જેમાં ટેક્સટાઇલ માર્કેટ સહિત વિવિધ ઉદ્યોગ પણ 48 કલાકનો લોકડાઉન પાળશે. આવતીકાલે સવારે 6 કલાકથી સ્વૈચ્છિક લોકડાઉન શરૂ થશે.
સુરતમાં મોટાભાગના વિસ્તારોમાં જનતા કર્ફ્યૂ છે. સુરત ગ્રામ્યના બજારો આજથી ત્રણ દિવસ માટે બંધ કરી દેવાયા છે. બારડોલી, કામરેજ, ઓલપાડ, મહુવા, કડોદરામાં સ્વૈચ્છીક લોકડાઉન જારી કરી દેવાયું છે. ગ્રામ્ય વિસ્તારની નગર પાલિકા, ગ્રામ પંચાયતો દ્વારા આ નિર્ણય લેવાયો છે. જેમાં 16,17,18 ત્રણ દિવસ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરી દેવાયું છે.
કોરોનાના કહેર વચ્ચે સુરત મનપાએ અગત્યનો નિર્ણય કર્યો છે. મનપા કર્મચારીઓને 6 રેમડેસિવિર ઈન્જેક્શન ફ્રીમાં અપાશે તેવી જાહેરાત કરાય છે. મનપાના જરૂરિયાતમંદ કર્મચારીઓને મનપા ઈન્જેક્શન ફ્રીમાં આપશે. જેમાં મનપાના કર્મચારી, પૂર્વ કર્મચારી, કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરોનો સમાવેશ થાય છે. મનપા ક્વોટામાં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને ઈન્જેક્શન અપાશે.
જો કે, સુરત મનપાના નિર્ણયને લઇ AAPનો વિરોધ ઉઠાવ્યો હતો. નિર્ણય સારો પરંતુ અધિકારી અને કોર્પોરેટર માટે જ કેમ તેવા સવાલ કર્યા હતા. નિર્ણયનો લાભ સુરતની જનતાને કેમ નહીં. સુરત મનપાનું બજેટ 6500 કરોડ છે. બજેટથી મહામારીમાં લોકોની સારવાર થવી જોઇએ. તમામ કોવિડ દર્દીની ફ્રી સારવાર થવી જોઇએ તેવી રજૂઆત કરી હતી.
ગુજરાત ખેડૂત સમાજે લોન માફી માટે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ખેડૂતોએ ખેતી વિષયક લોનના વ્યાજની માફી અંગે રજૂઆત કરી છે. છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે પોષણક્ષમ ભાવ ન મળતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. લોનનું વ્યાજ માફી અને હપ્તા પદ્ધિતિને લંબાવવાની માગ કરાઈ. સાથે ધિરાણ આપનાર સંસ્થાને ટકાવી રાખવા સરકાર તરફથી સહાય આપવાની માગ ઉઠી છે.
ખેડૂતોએ પોતાની વ્યથા દર્શાવતા કહ્યું, કોવિડ મહામારીના કારણે હાલમાં શુગર ફેક્ટરીએ શેરડીના જાહેર કરેલી કિંમતમાં ટને 400નો તફાવત આવ્યો છે. જ્યારે ડાંગરના ભાવમાં પણ ક્વિન્ટલે રૂપિયા 100ની કિંમત ઓછી મળી રહી છે. તો બીજી તરફ શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ ફટકો પડ્યો છે. બજારમાં ડુંગળી અને બટાકાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.