સુરતમાં એક શરમજનક ઘટના સામે આવી છે મનપાનું 30 કરોડનું ખીચડી કઢી કૌભાંડ સામે આવ્યું છે.
સુરતમાં લોકડાઉનમાં ખીચડી-કઢી કૌભાંડ
લોકડાઉનમાં શ્રમિકોની સેવાના નામે કરોડોનું કૌભાંડ
મનપાનું 30 કરોડનું ખીચડી-કઢી કૌભાંડ ખુલ્યુ
કોરોના મહામારીમાં લોકડાઉન વખતે લગભગ 500 જેટલી સેવાભાવી સંસ્થાઓએ લોકડાઉન દરમિયાન ગરીબોના પેટનો ખાડો બે ટંક ખીચડી-કઢી સહિતનું ખવડાવી પૂર્યો હતો. આશરે 3 કરોડથી વધુ લોકોને જમાડવામાં આવ્યા હતા. NGO દ્વારા થયેલી આ સેવાની સર્વત્ર સરાહના થઈ હતી. જોકે હકીકત કંઈક જુદી જ સામે આવી છે.
RTIમાં ચોંકાવનારો ખુલાસો થયો છે
સેવા કરનારી આ સંસ્થાઓએ લાખો કરોડો રૂપિયાનાં બિલ પાલિકામાં મૂકીને પાસ કરાવી લીધાંનું સામે આવ્યું છે. સેવાના નામે મેવા ખાનારી સંસ્થાઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. જેની સામે પાલિકાના મેયર ડો. જગદીશ પટેલે જણાવ્યું છે કે કોઈપણ ગેરરીતિ થઈ હશે તો તપાસ કરીને પગલાં લેવામાં આવશે. લોકડાઉન દરમિયાન લાખો લોકોને જમવાનું ભગીરથ કાર્ય સુરતમાંથી થતું હતું. તમામ સંસ્થાઓ એના માટે કાર્ય કરતી હતી.
કરોડો રૂપિયા ચૂકવ્યાની માહિતી
જોકે અનલોકમાં આ સંસ્થાઓએ બિલ પાલિકામાં મૂકતાં નવો વિવાદ થયો છે. કોંગ્રેસના કાર્યકર કલ્પેશ બારોટે લોકડાઉન દરમિયાન ભોજનમાં થયેલા ખર્ચ અંગે માહિતી માગી, એમાં પાલિકાએ ભોજન માટે અક્ષયપાત્ર સંસ્થા સાથે કરેલા કરાર મુજબ કરોડો રૂપિયા ચૂકવ્યાની માહિતી આપી છે.