સુરત જિલ્લામાં અનેક સ્થળ પર કબરોના ખોદકામ માટે શ્રમિકોની સંખ્યા ઓછી પડી, જેસીબીની મદદથી કબરસ્તાનમાં કબર ખોદાઈ રહી છે
સુરત જિલ્લાના રામપુરામાં કબર ખોદવા જેસીબીની લેવાઈ મદદ
અતિમ વિધિ માટે આવતા મૃતદેહેની સંખ્યામાં થયો વધારો
શ્રમિકો દ્વારા એક કબર ખોદવામાં 6 કલાકનો લાગી રહ્યો છે સમય
રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સુરતમાં પણ કોરોનાના સૌથી વધુ કેસ રોજબરોજ સામે આવી રહ્યા છે. અને મોતોનો આંકડો પણ ભયંકર રીતે વધી રહ્યો છે. સ્મશાનોમાં 3 કલાક સુધીની લાંબી લાઈનો લાગી છે. તો બીજી તરફ કબરસ્તાનમાં પણ અંતિમવિધિ માટે ખાડાઓ ખોદવાનું કામ ચાલી રહ્યું છે. કબરોના ખોદકામ માટે શ્રમિકોની સંખ્યા ઓછી પડી રહી છે. અને ખાડાઓની સંખ્યા વધારે છે. આ કારણે હવે મશિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેસીબીની મદદથી કબરસ્તાનમાં કબર ખોદવાનું કામ ચાલી રહ્યું છે.
સુરતના રામપુરા વિસ્તારના કબ્રસ્તાનમાં સામાન્ય દિવસો કરતા વધારે સંખ્યામાં મૃતદેહોની અંતિમ વિધિ થઈ રહી છે. જેને લઈને જેસીબીની મદદ લેવામાં આવી રહી છે. એક કબર ખોદવા 6 કલાક જેટલો સમય લાગે છે. પરંતુ જે પ્રમાણે મૃતદેહો આવી રહ્યા છે. તેના હિસાબથી મશિનની મદદ વગર આ કાર્ય પાર પડી શકે તેમ નથી.
મહત્વનું છે કે, 10 એપ્રિલે પણ એક સમાચાર સામે આવ્યા હતા. રાજ્યના મહાનગરો પૈકી અમદાવાદ અને સુરતમાં કોરોનાએ હાલ બેહાલ કર્યા છે. દરરોજ નોંધાઇ રહેલા કોરોનાના કેસની સાથોસાથ મોતનો આંકડો પણ ચિંતા વધારનારો છે. સુરતમાં કોરોનાથી થતાં મોતને પગલે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં કબર ખોદવાની કામગીરી તંત્રએ હાથ ધરી હતી.
નોંધનીય છે કે, સતત લોકોના મૃતદેહો આવી રહ્યા હોવાથી તંત્ર દ્વારા JCBની મદદથી આશરે 25 જેટલી કબરો ખોદવામાં આવી હતી. તો આ તરફ સ્માશાન ગૃહમાં પણ મોટી સંખ્યામાં મૃતદેહ આવતા હોવાથી સતત વેઈટિંગ જોવા મળ્યું હતું.