સુરતના કોંગ્રેસના દિગ્ગજ નેતા ધીરુ ગજેરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એ સાથે જ લાંબા સમયથી સેવાતી અટકળોનો અંત આવી ગયો છે. તેમનું આ રાજીનામું જ્યાં ભાઈને ઉગારવાના દબાણ અને લોકસભા ચૂંટણી લડવાની લાલચ તરીકે જોવાઈ રહ્યું છે પરંતુ વિધાનસભા ચૂંટણી આડે થોડા મહિના બાકી છે ત્યારે પક્ષ સાથે છેડો ફાડવાની આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં નવી ગરમીનો સંચાર કરી દીધો છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં વરાછાથી ઉમેદવારી કરી ચૂકેલા ધીરુ ગજેરાએ કોંગ્રેસ પાર્ટીમાંથી સભ્યપદ અને તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે. ધીરુ ગજેરા અગાઉ ભાજપના નિશાન પર ધારાસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે.
જ્યારે કોંગ્રેસના નિશાન પર ત્રણ વખત ચૂંટણી લડી ચૂક્યા છે પરંતું ક્યારેય જીત્યા નથી. ધીરુ ગજેરા ભૂતકાળમાં પણ ચૂંટણી પહેલા જ સક્રિય થવા બદલ જાણીતા છે. 2017ની ચૂંટણી પહેલા તેમણે નરેદ્ર મોદીની છઠ્ઠી જાણું છું તેવું નિવેદન પણ આપ્યુ હતું પરંતુ ચૂંટણી પછી ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ પર ટિકિટમાં સેટલમેન્ટના ગંભીર આરોપ લગાવ્યા હતા. બસ ત્યારથી તેમની દૂરી કોંગ્રેસથી વધતી ગઈ અને હવે તેમણે ખુલ્લી રીતે કોંગ્સે પક્ષ છોડી દીધો છે.
કોંગ્રસ છોડતાની સાથે જ ધીરુ ભાઈ ગજેરાએ કોંગ્રેસ પર ફરી પાછા પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર માટે ટિકિટ વહેંચણીમાં ગોટાળાને કારણભૂત ગણાવીને સીધેસીધા ભરતશસહ સોલંકી પર આકરા પ્રહાર કર્યા હતા. એટલું જ નહીં તેમણે નરેદ્ર મોદીની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે હાલ મોદીયુગ ચાલે છે. ધીરુભાઈએ કોંગ્રસ વિરુદ્ધ ચૂંટણી લડવાની પણ હાંક મારી હતી.
ધીરુભાઈ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામું અનેક રીતે જોવાઈ રહ્યુ છે. કેમકે હાલની સ્થિતિમાં ધીરુભાઈના ભાઈ વસંત ગજેરા જમીન કેસમાં ફસાયા છે. હાલ તેમના પર ભાઈને બચાવવાનું દબાણ અને લોકસભા ચૂંટણી લડવાની લાલચ બન્ને હોય તેવું લાગી રહ્યુ્ છે અને એમ પણ ધીરુભાઈ ભાજપમાં હતા ત્યારે સહેલાઈથી ધારાસભ્ય બન્યા હતા અને તેઓ મૂળથી સંઘના કાર્યકર છે.
આ સ્થિતિમાં તેમને કોંગ્રેસનું કલ્ચર ફાવી શકે તેમ નથી ઉપરાંત. ગત વિધાનસભામાં ભાજપ વિરોધી જુવાળ વચ્ચે સુરતમાં પાટીદારો ભાજપ સાથે જોવા મળ્યા હતા. ધીરુભાઈને આ સ્થિતિમાં વજન વધારવામાં સરળતા મળી શકે છે. તેમને આવનારી ચૂંટણીમાં સુરત કે અમરેલીથી ભાજપમાંથી ટિકિટ મળે તો નવાઈ પામવા જેવું નથી. કેમ કે તેમણે મોદીયુગના દરવાજે દસ્તક દઈ દીધી છે.