સુરતમાં સર્જાયેલી આગ હોનારત બાદ સમગ્ર રાજ્યના મહાનગરો અને નગરપાલિકાઓમાં તંત્રએ અગમચેતી રૂપે કાર્યવાહી હાથ ધરી હતી. વાત ફાયર સેફ્ટિની સુવિધા ઉભી કરવાની હોય કે પછી ડોમ ઉતારવાની હોય. તંત્ર દ્વારા હવે નાના સંચાલકો પર તવાઈ અને મોટા માથાઓને છાવરવામાં આવી રહ્યા હોય તેવી ફરિયાદ સામે આવી રહી છે. ત્યારે વડોદરામાં ટ્યુશન ક્લાસીસો સાથે ફાયર સેફ્ટિના નામે કેવી અપનાવવામાં આવી રહી છે વહાલાં દવલાંની નીતિ જોઈએ આ અહેવામાં.
ઉલ્લેખનીય છે કે, સુરતના આગકાંડ બાદ વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા શહેરના ટ્યુશન ક્લાસીસ અને શાળા સંચાલકો પર તવાઈ બોલાવવાની જાહેરાત તો કરી પણ હવે મહાનગરપાલિકાની આ કામગીરી થોડી ઢીલી પડી હોય તેવું લાગે છે. તંત્ર દ્વારા જાણે કે વહાલા દવલાની નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે.
છેલ્લા ચાર દિવસથી માત્ર નાના ટ્યુશન ક્લાસીસ અને નાની શાળાઓને નોટિસો આપીને હેરાન કરવામાં આવી રહ્યા છે જ્યારે મોટા અને વગદાર ટ્યુશન ક્લાસીસ અને શાળા સંચાલકોને માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. જે માટે વિપક્ષે આક્ષેપો કરી સવાલ ઉભા કર્યા છે.
વડોદરામાં નાની શાળાઓ અને ટ્યુશન સંચાલકોએ ફાયર સેફ્ટિની સુવિધા પણ કરી લીધી છે અને ડોમ પણ ઊતારી લીધા છે જોકે આજે પણ રાજકીય વગ ધરાવતી શાળા ઓ અને ટ્યુશન ક્લાસીસના ફાયબરના ડોમ યથાવત છે તેમ છતાં તેમની વિરુદ્ધમાં કોઈજ પગલાં લેવામાં આવતા નથી આવી શાળાઓની વાત કરીએ તો કારેલીબાગ ની બ્રાઇટ સ્કૂલ, શાનેન સ્કૂલ, અલકાપુરીની બરોડા હાઈસ્કૂલ, સુભાનપુરાના રામકૃષ્ણ કોમ્પ્લેક્ષના ડોમ આજે પણ યથાવત છે.
ઉલ્લેખનીય છે કે, 10 દિવસ થી વડોદરામાં ચાલતી ફાયર સેફટીની સુવિધાની કવાયતમાં આજે સ્થિતિએ છે નાના સંચાલકોને હેરાન કરવામાં આવી રહ્યા છે તેમને હજુ સુધી ફાયર સેફટીની એનઓસી આપવામાં આવી નથી. તો સામે પક્ષે એક પણ મોટી શાળાના સંચાલકો હજુ સુધી ફાયર સેફટીની લાઈનોમાં ઉભા રહ્યા નથી અને હજુ સુધી ધાબા પર રહેલા ડોમ ઉતારવાની તકલીફ પણ લીધી નથી. પરંતુ વીએમસીના મેયર આજની વાત કાલપર ઠેલવતા તેમનો આ રીતે બચાવ કરી રહ્યા છે.
હજુ સુધી વડોદરા મહાનગરપાલિકાએ એક પણ શાળા માંથી ડોમ હટાવ્યો નથી. કેટલીક નાની શાળાઓ પોતાની રીતે ડોમ દૂર કરી રહીએ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો સુરતની જેમ કોઈ મોટી હોનારતની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે, જોકે આ બાબતે વહેલી તકે કાર્યવાહી થાય તેવી માંગ ઊઠી છે.