સુરતમાં સર્જાયેલા અગનકાંડમાં અનેક પરિવારોની ખુશી સ્વાહા થઈ ગઈ છે. અનેક ભર્યાભાદર્યા પરિવારમાંથી કાળજાનાં કટકા જેવા સંતાનો ચીર નીંદ્રામાં પોઢી ગયા છે. કોઈનાં એકનાં એક વહાલસોયા દીકરા તો કોઈની હસતી કૂદતી લાડકી પોતાનાં પરિવાર વચ્ચેથી હંમેશા માટે વિદાય લઈ લીધી છે. કેટલાકનાં સંતાનો માટે ટ્યુશન ક્લાસનો છેલ્લો દીવસ જીવનનો અંતિમ દિવસ બની ગયો. ત્યારે કેવી હોય છે આ સંતાનો ગુમાવ્યાની વેદના જોઈએ તે અમારા આ રિપોર્ટમાં.
પુષ્પહારથી ઢંકાયેલી આ તસવીરમાં દેખાતો આ અંશ ઉર્ફે ચેતન તેના માતાપિતાનો અંશ હતો અને તેનાં પરિવારની ખુશીનું ચેતન હતો. હજુ ચાર પાંચ દિવસ પહેલા તો આ ઘરમાં તેની ચહલપહલથી ખુશીઓનો પાર ન હતો. પરંતુ તે ટ્યુશનમાં છેલ્લા દિવસે ગયો તે ગયો. તે દિવસ તેની જિંદગીનો પણ છેલ્લો દિવસ બની ગયો. ઘરમાં હવે તે આ તસવીરમાં જ જોવા મળશે. અંશ તેનાં માતા-પિતા અને તેની બન્ને બહેનો માટે ક્યારેય ન વીસરાય તેવી વેદનાસભરી યાદ મૂકીને ગયો છે. પોતાનાં દીકરાને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવવાના સપના જોતી તેના માતા-પિતાની આ આંખો હવે માત્ર આસુંથી ઊભરાઈ રહી છે.
કેમ કે તેમનાં કાળજાનો કટકો હવે તેમને સદેહે ક્યારેય જોવાં મળશે નહીં. અંશની માતા આધાતમાં એવાં તો ગરકાવ છે કે કેમરા સામે કશું બોલી શકે તેવી હાલતમાં નથી. અંશની આ બન્ને બહેનોને પોતાનો એકનો એક ભાઈ ખોયાનું દુઃખ આપણાથી પણ પૂછી શકાય તેમ નથી અને અંશનાં પિતા મનસુખભાઈ ગુમસુમ રહે છે ગમે ત્યારે તેમની વેદનાનો બંધ તૂટી શકે છે. કેમકે આગનાં સ્થળે બચવાના પુત્રનાં હવાતિયા અને પુત્રને બચાવા માટે તેમણે તંત્રને કરેલી આજીજી અને છેવટે લાચાર આંખે જ તેમણે પુત્રનો બુઝાતો જોયેલો જીવનદીપ તેમની આંખો સામેથી ઓઇલ થયા નથી. પરંતુ જ્યારે મીડિયા સામે વાત કરવાનું કહ્યું તો તેઓ પોતાનો વેદનાસભર આક્રોશ રોકી ન શક્યાં.
હવે તસ્વીરમાં જ સમાઈ ગયેલા અંશને ભણી ગણીને આર્કિટેક્ટ બનવું હતું. તે નાટાના ટ્યુશન ક્લાસિસ કરતો હતો. તે દિવસે તેનાં ક્લાસીસનો છેલ્લો દિવસ હતો. પરંતુ તે છેલ્લો દિવસ પૂરો કરીને ઘરે પરત આવી શક્યો જ નહીં. સુરતનાં હીરાબાગ વિસ્તારમાં રહેતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતાં મનસુખભાઈ ઠુમ્મરને સંતાનોમાં બે પુત્રીઓ અને એક પુત્ર હતો. અંશનો ઘરનાં સભ્યો ચેતનનાં હુલામણા નામે બોલાવતા હતાં. પરંતુ તંત્રનાં પાપે ઘરનો આ ચેતન અને માવતરનો અંશ કાયમ માટે વિલિન થઈ ગયાં. બે માતા-પિતાનાં સપનાનો સાથી અને બહેનો સાથે ધમાચકડી કરતો અંશ કાયમ માટે છોડીને ચાલી ગયો. અંશ ચાલ્યો ગયો છે કે તંત્રનાં પાપે તેને છીનવી લીધો છે? આ સવાલ અંશની બન્ને બહેનો આપણને પૂછી રહી છે.
માત્ર પીડિત પરિવારને સહાય ચૂકવી દેવાથી પરિસ્થિતિ સુધરી જવાની નથી. માત્ર નોટિસો પાઠવી દેવાથી અકસ્માતનું જોખમ ઓછું થઈ જવાનું નથી. કેમ કે, પરમિશન વિનાની ઈમારતોમાં આગ લાગવાની ઘટના આ પહેલી વહેલી નથી. તંત્રએ આવી ઈમારતોનાં નિર્માણ વખતથી જ કડક હાથે કામ લેવાની જરૂર છે અને નિયત સમયે તેનું ચેકિંગ કરી બેદરકારી દાખવનારા તંત્ર સામે કડક કાયદાથી કામ લેવું પડશે કેમ કે આ કોઈનાં જીવન-મરણ સાથે જોડાયેલો મામલો છે.