સુરતની નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયેલા બાળકને બદલીને તેની જગ્યાએ બાળકી મુકી દેવાઈ હોવાનો આક્ષેપ કરનાર દંપતી બાળકીને સિવિલમાં જ તરછોડી પલાયન થઈ ગયું હતું. બનાવ અંગે તબીબે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
જોકે, માતા-પિતાની મમતા જાગી હોય તેમ સામેથી બંને સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. પાંડેસરા મહાદેવ નગર ખાતે રહેતા નૈનાબેન રાજેશ પટેલની બુધવારના રોજ સાંજે પાંડેસરા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ હતી. નવજાત બાળકની તબિયત નાજુક હોવાથી હોસ્પિટલના તબીબે નવજાતને સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યુ હતું.
સિવિલ હોસ્પિટલમાં એનઆઈસીયુ વોર્ડમાં નવજાત બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગુરૂવારે સવારે બાળક બદલી તેની જગ્યાએ બાળકી મુકી દેવાઈ હોવાનો નૈના અને રાજેશે આક્ષેપ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. જેથી મામલો પોલીસમાં પહોંચ્યો હતો. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી.
જે હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ તે લવલી હોસ્પિટલના તબીબે નૈનાબેને બાળકીને જ જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો હતો અને નૈનાબેન તેમજ રાજેશભાઈને ગેરસમજ થઈ હોવાનું પણ જણાવ્યું હતું. જેનો રિપોર્ટ એક મહિનો પછી આવવાનો હતો. જોકે રિપોર્ટ આવે તે પહેલા જ રવિવારે રાત્રે નૈના અને રાજેશ બાળકીને સિવિલના એનઆઈસીયુ વોર્ડમાં જ તરછોડી પલાયન થઈ ગયા હતા. દંપતી બાળકીને તરછોડી ગયા હોવાની જાણ થતા તબીબોએ પોલીસને જાણ કરી હતી.