શિક્ષણ વ્યવસ્થામાં ગરબડીને કારણે સુરતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનું ભવિષ્ય હાલ અંધકારમય જણાઈ રહ્યુ છે. સુરતમાં શાળાની માન્યતા રદ્દ થતા ધોરણ 10ના 41 વિદ્યાર્થીઓના ભવિષ્ય હાલ તો અધ્ધરતાલ દેખાઈ રહ્યુ છે. આ વિદ્યાર્થીઓની આ સ્થિતિ માટે કોણ જવાબદાર? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
માન્યતા રદ્દ થતાં નથી ભરાયા પરીક્ષા ફોર્મ
ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 25 નવેમ્બર છે
હજુ સુધી ફોર્મ ન ભરાતા વિદ્યાર્થીના ભાવી સામે પ્રશ્ન
શિક્ષણ વ્યવસ્થાના નાનામોટા બ્લન્ડર માફ થાય પણ સુરતમાં તો ધોરણ 10ની બોર્ડની પરિક્ષાના ફોર્મ ભરવા બાબતે રસાકસી થઈ છે અને 41 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ટલ્લે ચઢ્યુ છે. આ માટે કોણ જવાબદાર છે તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. જે શાળાની માન્યતા જ રદ્દ કરાઈ હોય તે શાળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને ભણાવે છે અને છેલ્લી તારીખોમાં સમજાય છે કે અહીં તો પરીક્ષાના ફોર્મ ભરાઈ જ નહીં શકે. વાલીઓ પણ આ વાતને પગલે હેરાન પરેશાન થઈ રહ્યા છે.
શું છે મામલો
સુરતમાં પાંડેસરાની ભગવતી હિન્દી વિદ્યાલયની માન્યતા રદ્દ કરાઇ હતી. માન્યતા રદ્દ થતાં પરીક્ષા ફોર્મ ભરી શકયા નથી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર છે. હજુ સુધી ફોર્મ ન ભરાતા વિદ્યાર્થીના ભાવી સામે પ્રશ્નો ઉઠયા છે. શિક્ષણ બોર્ડે જૂન મહિનામાં મંજૂરી રદ્દ કરી હતી.નોંધણી રદ્દની જાણકારી આપવા છતાં પ્રવેશ અપાયાનો સામે આવ્યું છે. હાલ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે
ઉઠી રહ્યા છે પ્રશ્નો
ધોરણ 10ના વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર શાળા સામે શિક્ષણ વિભાગ શું પગલા લેશે? વારંવારની નોટીસો છતા શાળાઓ સુધરતી નથી. આવી શાળાઓને પગલે માસૂમ વિદ્યાર્થીઓને કનડગત થાય છે આ માટે શિક્ષણ વિભાગ કંઈ પગલા લેશે કે કેમ? તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.