સુરત શહેરના સરથાણામાં અગ્નિકાંડ મામલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં શહેરી વિકાસ વિભાગ પોતાનો રિપોર્ટ મુખ્યમંત્રીને રજૂ કરશે.
આ રિપોર્ટના આધારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી રહેલી બેઠકમાં આગળની કાર્યવાહી મામલે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ, CS, પ્રિન્સિપલ સેક્રેટરી, અને શહેરી વિકાસના અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે.
આ ઉપરાંત ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. આ સાથે જ રાજ્યભરમાં કરેલી તપાસ અંગે પણ એક રિપોર્ટ બેઠકમાં રજૂ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે અગ્નિકાંડ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને તપાસ સોંપી હતી.
ઉલ્લેખનીય છે કે સુરતમાં તક્ષશિલા આગના મામલે સુરત પોલીસે 2 બિલ્ડરની ધરપકડ કરી છે. બિલ્ડર હરસુલ વેકરિયા અને જિજ્ઞેશ પારઘરાની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી ભાર્ગવ ભૂટાણીના 2 દિવસના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ દ્વારા આગનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું અનુમાન કરવામાં આવ્યુ છે. પોલીસે શહેરના લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. સુરતમાં અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા છે.