ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સુરતમાં મફત 5 હજાર રેમડેસિવિર ઈન્જેક્શન આપવાનો મામલો દિલ્હી પહોંચ્યો, કેન્દ્રીય ડ્રગ્સ કન્ટ્રોલ ઓથોરિટીએ રાજ્યના ફૂડ-ડ્રગ્સ કમિશનર પાસે માગ્યો જવાબ
ભાજપ દ્વારા 5 હજાર રેમડેસિવિર વિતરણનો મામલો
કેન્દ્રીય ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી આવી હરકતમાં
રાજ્ય ફૂડ કમિશનર કોશિયાને લખ્યો પત્ર
સુરતમાં ભાજપ દ્વારા રેમડેસિવિરના 5 હજાર ઈન્જેક્શન મફત આપવાનો મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે. કેન્દ્રીય ડ્રગ્સ કન્ટ્રોલ ઓથોરિટી આ મામલે સતર્ક બની છે. કેન્દ્રીય ડ્રગ્સ કન્ટ્રોલ ઓથોરિટીએ ગુજરાત રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર કોશિયાને પત્ર લખ્યો છે. અને 5 હજાર ઈન્જેક્શન મામલે જવાબ માગ્યો છે. મહત્વનું છે કે,
જ્યારથી સી.આર પાટીલે સુરતમાં ભાજપ તરફથી મફતમાં 5 હજાર રેમડેસિવિર આપવાની વાત થઈ છે. ત્યારથી વિવાદ સર્જાયો છે. જે બાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળ એક જ સવાલ પૂછી રહ્યા છે કે, આટલો મોટો જથ્થો ભાજપ પાસે આવ્યો ક્યાંથી. જેને લઈ ભાજપના સુરત મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી આજે ગુસ્સે ભરાઈને આમ આદમી પાર્ટીને જવાબ આપ્યો હતો. પરંતુ હવે મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે. અને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર પાસે જવાબ માગ્યો છે.
હર્ષ સંઘવીએ કર્યો પાર્ટીનો બચાવ
રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ વિવાદ થયો છે. રેમડેસિવિરની અછત વચ્ચે ભાજપ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણને લઇ સવાલો ઉઠ્યા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે વીટીવીએ વાતચીત કરી. ત્યારે તેઓએ રોષે ભરાઇ અને કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ ખોટા આરોપ કરી રહ્યા છે. ગુજરાતના નાગરિકોને મફતમાં સેવા મળે તેનો કોંગ્રેસ વિરોધ કરે છે. કયા કોંગ્રેસના નેતાએ હોસ્પિટલ બનાવી છે.
ભાજપના નેતાઓ પોતાની ફરજ સમજીને લોકોની સેવા કરે છે. અને લોકોને ઈન્જેક્શન મફતમાં મળે તો તે પાપ કહેવાય?. દિલ્લીમાં મફત સેવા આપતી આપ સરકાર અહી કેમ મફતમાં સેવા નથી આપતી?. અમિત ચાવડાએ કયા લોકોને ઈન્જેક્શન મફતમાં આપ્યા છે?. હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસ રાજનીતિના સ્તર કરતા પણ નીચે ઉતરી ગઈ છે.