સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, જેના કારણે રેમડેસિવિર ઇન્જેક્શનનો વપરાશ પણ વધ્યો છે
સુરતમાં કોરોનાની બીજી લહેર બની ઘાતક
કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો
રેમડેસિવિર ઇન્જેક્શનનો વપરાશ વધ્યો
ગુજરાતમાં ચૂંટણી પછીથી સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. તો ગઈકાલે સૌથી વધુ કેસ 2640 સામે આવ્યા હતા. તો બીજી તરફ સરકારની પણ આંખ ઉઘડી ગઈ છે. જે રીતે કેસો સામે આવી રહ્યા છે. તે લોકો માટે ચેતવણીરૂપ છે. સુરતમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે.
રેમડેસિવિર ઈન્જેકશન પર સુરત
કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેના કારણે રેમડેસિવિર ઇન્જેક્શનનો વપરાશ પણ વધ્યો છે. હાલમાં સુરતમાં પ્રતિદિન 700 ઇન્જેક્શનનો વપરાશ થાય છે. સુરતમાં હાલમાં 456 દર્દીઓ ગંભીર હાલતમાં હોવાનું ચોપડા પર છે. જેમાં 50 જેટલા દર્દીઓને વેન્ટિલેટર પર રખાયા છે. આ સાથે આજે ફરી વધુ 3500 ઇન્જેક્શન સુરતમાં ફાળવવામાં આવ્યા છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરનું નિવેદન
રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની વધતી માગ વચ્ચે ફૂડ-ડ્રગ્સ કમિશનર કોશિયા દ્વારા નિવેદન અપાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સના કમિશનરે કહ્યું કે, ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો છે. રાજ્યમાં કોવિડની જરૂરી દવાઓનું રોજ મોનિટરિંગ થાય છે. દવા બજાર-ખાનગી હોસ્પિટલમાં 28119 ઇન્જેક્શન ઉપલબ્ધ છે. અમદાવાદમાં 9223, વડોદરામાં 7746 ઇન્જેક્શનનું વિતરણ કરાયું છે. સુરતમાં 3772, રાજકોટમાં 3504 ઇન્જેક્શનનું વિતરણ થયું છે. મહેસાણામાં 144 ઇન્જેક્શનનું વિતરણ કરાયું છે. GMSCL ખાતે 16 હજાર ઇન્જેક્શનનો જથ્થો છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં રેમડેસિવિરને લઈને રાજકારણ ગરમાયું હતું. રાજકોટ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 45 હજાર ઇન્જેશનની જરૂર છે પરંતુ છેલ્લા 3 દિવસથી શહેરમાં રેમડેસીવર ઇંન્જેક્શન પડ્યા નથી.
મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલ
આ સાથે જ તેમણે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર વચ્ચે રાજકોટના મોટાભાગની હોસ્પિટલો પણ ફૂલ થઇ ચૂકી છે અને આવનારા સમયમાં ઓક્સિજનની પણ અછત સર્જાઇ શકે છે. કોંગ્રેસ અગ્રણીએ કહ્યું કે, શહેરની વેદાંત હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, ઓલમ્પસ હોસ્પિટલ, રંગાણી હોસ્પિટલ, કુંદન હોસ્પિટલ, જલારામ હોસ્પિટલ અને ક્રાઈસ્ટ હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી નથી. તો ઈન્જેક્શનની અછતથી કેટલીક હોસ્પિટલોએ નવા એડમિશન આપવના બંધ કર્યા છે.
આવતુ અઠવાડિયું ગંભીર હોવાની કરી આગાહી
રાજકોટ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ ગઈકાલે નિવેદન આપ્યું હતું કે, બધી હોસ્પિટલો ફૂલ છે કોરોનાની કામગીરીમાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે ત્યારે રાજકોટના નગરજનો માટે આવતું અઠવાડિયુ ભયંકર સાબિત થઇ શકે છે.
CM રૂપાણીએ આપ્યા આદેશ
પરિસ્થિતિનો તાગ લેતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તંત્રને તાબડતોબ રેમડેસિવિરનો જથ્થો રાજકોટ મોકલવા માટે આદેશ આપ્યા હતા. ત્યારે ગઈકાલ આજે સાંજ સુધીમાં 250 ડોઝનો રેમડેસીવર ઇન્જેક્શનનૉ જથ્થો રાજકોટને મળવાનો હતો