આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિક દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના ભીમરાડ ખાતે અશોકના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકોને ફ્રી રોપ આપવામાં આવ્યા હતા અને જે લોકોને પોતાના ઘરે પણ વૃક્ષોનું વાવેતર કરવું હોય તે લોકો મનપાનો સંપર્ક કરી શકે તે માટે એક ખાસ એપ પણ લોન્ચ કરવામાં આવી છે.
વિશ્વ છેલ્લા કેટલાય સમયથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી તકલીફમાં છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે વધુ વૃક્ષ વાવવાની હાકલ કરવામાં આવી છે. લોકોમાં વૃક્ષો વાવવા માટે જાગૃતિ આવે એ માટે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સુરત મનપા દ્વારા પણ આ વખતે ખાસ પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી. સુરતના ભીમરાડ વિસ્તારમાં મનપા દ્વારા એક સૂચિત ગાર્ડન બનાવવામાં આવ્યો છે. જેમાં અશોકના વૃક્ષો વાવીને અશોક વન બનાવવામાં આવ્યું છે. પ્રકૃતિમાં અશોકના વૃક્ષોનું ખાસ મહત્વ હોય છે. પાલિકા દ્વારા અશોકના વૃક્ષ વાવવામાં આવ્યા હતા.
આ સાથે પાલિકા દ્વારા એક મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે, જે એપ થકી લોકો વૃક્ષ વાવેતર કરવા માટે પાલિકાનો સંપર્ક કરશે તો મનપા તેમને વૃક્ષ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરશે. આ વર્ષે સુરતને હરિયાળું બનાવવા માટે મનપા 10 લાખ વૃક્ષોનું વાવેતર કરી એનો ઉછેર કરવા માટેની તૈયારી પણ કરી લીધી છે.