સુરતના હીરા ઉદ્યોગના રત્ન કલાકારો પડ્યા પર પાટુ જેવી દુર્દશામાં સપડાયા છે. મંદીમાં સપડાયેલા સુરત શહેરથી મોટા પાયે કર્મચારીઓને છુટા કરી દેતા આ હીરાઘસુઓએ તેમના વતન સૌરાષ્ટ્રમાં ખેતી કરી હતી જે આ વર્ષના કમોસમી વરસાદના કારણે નિષ્ફ્ળ ગઈ હતી.
સુરતમાં આ વર્ષે દેશભરમાં ચાલી રહેલા ઇકોનોમિક સ્લોડાઉનનો ભારે ધક્કો અનુભવ્યો હતો. આ વર્ષે GST, નોટબંધી વગેરે કારણોસર આર્થિક સંકટ ઘેરું બનતા સુરતના ઉદ્યોગપતિઓએ મોટા પ્રમાણમાં રત્નકલાકારોને નોકરીમાંથી છુટા કરી દીધા હતા અથવા તેમના પગારમાં મોટા પાયે ઘટાડો કર્યો હતો. મોટા ભાગના રત્ન કલાકારો સૌરાષ્ટ્રથી આવ્યા હતા. આ હીરાઘસુઓએ નોકરી છૂટી જતા માદરેવતનની વાટ પકડી હતી. અહીં ગામડે તેમણે તેમનો ખેતીનો વ્યવસાય હાથ પર લીધો હતો.
સારા પાકની આશા ઠગારી નીવડી
શરૂઆતના સમયમાં સારો વરસાદ થતા આ ચોમાસામાં લહેરાતા મોલ સાથે મબલક પાકની ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા હતા. તેમના ઉત્સાહમાં ત્યારે ભંગાણ પડ્યું જયારે ચોમાસું તેના સામાન્ય સમય કરતા વધુ લાંબુ ચાલ્યું. આ ઉપરાંત રાજ્ય પર ત્રાટકેલા 3 અલગ અલગ વાવાઝોડા અને તેની સાથે આવેલા વરસાદ ખેડૂતોની હાલ વધુ કફોડી બનાવી દીધી. ખેડૂતોના પાકને એટલું વ્યાપક નુકશાન થયું છે કે તે પશુઓના ચારા માટે પણ કામ લાગે તેમ નથી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના એક ખેડૂતે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે તેણે 27 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું જેમાંથી તે ફક્ત 600 કિલો મગફળી મેળવી શક્યો હતો જેની પણ ખરાબ ગુણવત્તાની છે. પાકની ગુણવત્તા એટલી ખરાબ છે કે પશુઓ પણ આ ખાવા તૈયાર નથી.
આ ખેડૂતની સુરતની 25,000 રૂપિયાના પગારની નોકરી છૂટી ગઈ હતી. તેણે તેના બન્ને સંતાનોને સુરત જ રાખ્યા છે જેથી તેમના ભણતર ઉપર અસર ન થાય.
પાકને કાપીને હટાવા જેટલા પણ પૈસા નથી
અમરેલી, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા વગેરે જિલ્લાઓમાં ખેડૂતોની આ જ દશા છે. કેટલાય ખેડૂતોએ તેમના પરિવારના ગુજારા માટે પૈસા ઉધાર લેવા પડ્યા છે. પાકની ગુણવત્તા એટલી ખરાબ થઇ ગઈ છે કે મજૂરોને બોલાવીને તેમને કાપીને માર્કેટ યાર્ડ સુધી લઇ જવું અર્થહીન છે. આથી કેટલાય ખેડૂતોએ તેમની પરસેવો પડીને ઉગાડેલી વાવણીને આગ ચાંપી દીધી હતી.
અહીં નોંધનીય છે કે છેલ્લા 7 થી 8 મહિનામાં આશરે 15000 જેટલા રત્ન કલાકારોએ સુરત શહેરમાં તેમની નોકરી ગુમાવી છે.