સુરત: તાપીમાં ઉકાઈ ડેમમાં ગાયકવાડ સમયનો કિલ્લો દેખાયો છે. ડેમમા પાણીનું સ્તર ઘટતા આ કિલ્લો દેખાયો છે. આ કિલ્લો ઈતિહાસ સાથે સંકળાયેલ ગાયકવાડ સમયનો હોવાનું સ્થાનિકો માને છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કિલ્લો છેલ્લે વર્ષ 2016માં જોવા મળ્યો હતો. ત્યારે બે વર્ષ બાદ ફરીથી ડેમમાં કિલ્લો દેખાતા સ્થાનિક લોકો સહિત આસપાસના વિસ્તારના લોકો પણ કિલ્લાને જોવા માટે ઉમટી પડયા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એવા અનેક સ્થાપત્યો આવેલા છે જેની વર્ષો પહેલા એક અલગ ઓળખાણ હતી અને આજે તેઓ ધ્વસ્ત થયા છે તો કેટલાક વિસરાઇ ગયા છે. ત્યારે આજરોજ તાપીના ઉકાઇ ડેમમાં રહેલ ગાયકવાડ સમયનો એક કિલ્લો પાણી વચ્ચેથી બહાર દેખાતા લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.
સ્થાનિક લોકો દ્વારા મળેલ જાણકારી અનુસાર કિલ્લો ગાયકવાડ સરકારનો હતો અને જ્યારે ઉકાઇ ડેમ બનતો હતો તો ગાયકવાડ રાજાઓની આ રાજધાની તેના ડૂબ ક્ષેત્રમાં આવી ગઇ હતી. તેનું આ પરિણામ છે કે કિલ્લાની દિવાલો પર રાખવામાં આવેલી તોપો અને બીજા ઘણા સ્ટ્રકચર પાણીની અંદર જતા રહ્યા.
કિલ્લો એટલો મજબૂત અને આલિશાન છે કે પાણી ભરાઇ ગયું હોવા છતાં પણ આજે તે અડીખમ છે. જો કે ડેમ બન્યો તે સમયે કિલ્લો ઘણી હદે ખંડેર બની ગયો હતો. પરંતુ પાણી ભરાયા બાદ કિલ્લાની ચાર દિવાલો અડીખમ છે. આશ્વર્યની વાત એ છે કે 20 વર્ષ બાદ જ્યારે પાણી ઓછું થયું તો પણ દીવાલો અને તોપો યથાવત સ્થિતિમાં છે.
આપને જણાવી દઇએ કે આ કિલ્લો છેલ્લે 2016માં જ્યારે ડેમમાં પાણી ઓછું થયું ત્યારે જોવા મળ્યો હતો. આ કિલ્લો સોનગઢ કિલ્લા નામે મશહૂર હતો. પિલાજીરાવ ગાયકવાડે 1719માં ભીલો પાસેથી પહાડ જીતીને અહીં આલીશાન કિલ્લો બનાવ્યો હતો. આ 1729માં બનીને તૈયાર થયો હતો.
કિલ્લાનો મુખ્ય ભાગ આ પહાડ પર બનેલો છે. પહાડ પર બનાવવાનું કારણ એ જ છે કે દુશમન માટે આ કિલ્લા પર જીત પ્રાપ્ત કરવી આસાન ન રહે. કિલ્લાની દિવાલો પર મોટી-મોટી તોપો અને પત્થર ફેંકવાની જગ્યા બનેલી છે જેથી ચઢાઇ કરનાર કોઇ દુશ્મનને ધકેલી શકાય. આ કિલ્લોની ગુજરાતના સૌથી આલીશાન કિલ્લાઓમાં ગણતરી થતી હતી.