હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને કારણે સુરતના ઘણા રત્નકલાકારો શહેર છોડી જઇ રહ્યા હતા. હીરા ઉદ્યોગનું હબ ગણાતા સુરત સહિત અમદાવાદ અને સૌરાષ્ટ્રને મંદીમાં સારા સમાચાર છે. વૈશ્વિક માર્કેટમાં હીરા ઉદ્યોગની ડિમાન્ડ વધી રહી હોવાના પગલે હવે દિવાળી વેકેશન પૂરું થતાં હીરા બજારમાં રોનક આવી છે. જેના કારણે હીરા ઉદ્યોગોના ઉત્પાદનમાં પણ વધારો થશે.
ક્રિસ્મસના ઓર્ડરના પગલે હીરા બજારમાં રોનક વધી
બેરોજગાર રત્નકલાકારોને ફરી રાહત મળશે
હીરા માર્કેટમાં વેકેશન હોવા છતાં સારી માગ
આજથી હીરા બજારમાં વિધિવત વેકેશન પૂરું થઈ રહ્યું છે. મુંબઈ બજાર અને વિશ્વમાં ક્રિસ્મસની માગને લઈને કેટલાય લાંબા સમયથી મંદીના માહોલમાં સપડાયેલા હીરા ઉદ્યોગમાં પ્રાણ ફુંકાશે. આગામી સપ્તાહથી હીરા બજારમાં રત્નકલાકારો દ્વારા થતું કામકાજ પુરજોશમાં શરૂ થઈ જશે.
વૈશ્વિક માર્કેટમાં હીરાની માંગ ના પગલે બેરોજગાર રત્નકલાકારોને ફરી રાહત મળશે. માગ વધવાના કારણે રફ ડાયમંડના ભાવમાં પણ ૪થી ૫ ટકાનો ઉછાળો થયો છે. ત્યારે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ ક્રિસમસની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મંદીના કારણે સુરતના રત્નકલાકારો તથા શહેરમાં હસ્તકલાથી ઘરેણાં બનાવતા ૫૦ હજાર કલાકારો નોકરી અને સુરતને અલવિદા કરી દીધું હતું. સરકારે હીરાઘસુઓ અને મશીનથી બનતાં ઘરેણાંના જીએસટીના દરો ૫%થી ઘટાડીને ૧.૫% કરી દીધા હોઇ ઉદ્યોગને પણ ફાયદો થઈ રહ્યો છે.
ડાયમંડ ટ્રેડિંગ કરતા વેપારી વિપુલભાઈ સાસપરાએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં ક્રિસ્મસને લઈને તૈયાર હીરાની માગ રહે છે. મુંબઈના બજારમાં હાલમાં હીરા માર્કેટમાં વેકેશન હોવા છતાં સારી માગ છે ઉપરાંત રફના ભાવ નીચા જવાના કારણે પણ બજારને રાહત મળશે.