ગુજરાતમાં આમ આદમીની પકડ ઢીલી પડી રહેલી જણાય છે. આપમાં એક સાંધે ત્યાં તેર તૂટી તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે વધુ એક આપ મહિલા કોર્પોરેટર આમ આદમીથી છેડો ફાડશે તેમ લાગી રહ્યુ છે. સુરતમાં AAPના મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયાને શિસ્તભંગ અને ગેરવર્તણૂંક બદલ આમઆદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે . જે બાદ તેઓ ભાજપમાં જોડાય તેવી વાતો વહેતી થઇ છે.
કેમ જોડાઇ શકે ભાજપમાં ?
રોજબરોજ આપના કાર્યકરો ભાજપમાં જોડાય તેવા સમાચારો આપણે જોઇએ જ છીએ. ત્યારે હવે વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર પણ ભાજપમાં જોડાઇ શકે તેમ લાગી રહ્યુ છે. કારણ કે તેઓના સાથી કાર્યકરો જ જણાવી રહ્યા હતા કે તેઓનો સંપર્ક થઇ શક્યો નથી. તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે. કુંદન કોઠીયા વોર્ડ નંબર 4માં પોતાના જ વિસ્તારના લોકો સાથે સંપર્ક ઓછો કરી દીધો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
અગાઉ 5 કોર્પોરેટરો જોડાયા હતા ભાજપમાં
થોડા સમય પહેલા એક સાથે આમઆદમી પાર્ટીના 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગર ખાતે ભાજપના મુખ્યાલય કમલમ ખાતે બંને આપ કોર્પોરેટર વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ યુવા મોર્ચા પ્રમુખ ઋત્વિજ પટેલ પણ સામેલ થયા હતા. તેમણે આપના કોર્પોરેટરને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે, સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના કુલ 27 કોર્પોરેટરો છે. જેમાંથી પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાઇ ગયા છે.
8 AAP કોર્પોરેટરોની ગેરહાજરી ઉડીને આંખે વળગી
ભાજપમાં જે 5 કોર્પોરેટરો જોડાયા છે. તેમને ડિસક્વોલિફાય કરવા માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીના બીજા 8 કોર્પોરેટપો પણ ગેરહાજર હતા. જેથી તેમની ગેરહાજરીને લઈને હવે ગંભીર સવાલો ઉઠ્યા હતા. જો કે ગેરહાજર રહેવાના કારણો પણ હાસ્યાસ્પદ હોવાનું સામે આવ્યુ હતું એક કોર્પોરેટરે તો એવું કીધું કે તે આધાર કાર્ડના કામમાં વ્યસ્ત છે. તો બીજા કોર્પોરેટરે એવું કહ્યું કે તેનું વાહન પંચર થઈ ગયું છે. જેથી તે નહી આવી શકે. સાથેજ 6 કોર્પોરેટરોએ એવું કહ્યું તેઓ સામાજિક પ્રસંગમાં ગયા છે.
ચૂંટણી પહેલાજ પાર્ટી વિસર્જનની આરે
ઉલ્લેખનીય છે કે આપની બેઠકમાં બીજા 8 કોર્પોરેટરો મોટી સંખ્યામાં ગેરહાજર રહેતા હવે મોટું સસ્પેન્સ સર્જાયું હતું. પહેલાથી 5 કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. જેથી આપને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હવે વધુ એક કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. એક તરફ ચૂંટણી પણ આવી રહી છે. જેથી હવે આમ આદમી પાર્ટીના હવે વિસર્જનના એંધાણ દેખાઈ રહ્યા છે. જેના કારણે પાર્ટીનો માહોલ પણ ગરમાયેલો છે