રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર શખ્સો સામે પોલીસ આકરા પાણીએ થઇ છે.
શાંતિ ડહોળવાના કોણ કરે છે પ્રયાસ?
હિંસક તત્વો સામે પોલીસની લાલઆંખ
રાજ્યભરમાં નૂપુર શર્માનો વિરોધ
પૂર્વ ભાજપ નેતા નુપુર શર્માની ટિપ્પણી પર ઘમાસાણ મચ્યું છે અને આ વિરોધના વંટોળનો ફાયદો કેટલાક અસામાજિક તત્વો ઉઠાવી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હવે આવા તત્વો સામે પોલીસ એક્શનમોડમાં આવી ગઈ છે. જેથી હિંસા ભડકાવવાના પ્રયાસો કરતા તત્વોની ખૈર નહીં રહે. ત્યારે સુરત, રાજકોટ સહિતના શહેરમાં આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરતમાં 5 અસામાજિક તત્વોને દબોચી લેતી પોલીસ
સુરત શહેરના રસ્તાઓ પર નુપુર શર્મા વિરુદ્ધ પોસ્ટરો લગાવી શહેરમાં હિંસા ભડકાવવાના પ્રયાશો કરવામાં આવ્યો હતો આ મામલે પોલીસ 5 શખ્સોને ઝડપી લીધા હતા. જેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો પરંતુ સુરતમાં હિંસા ભડકે અને લોકો રસ્તા પર ઉતરે તે પહેલા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને ગુજરાતમાં શાંતિ ડહોળવાના પ્રયાસ કરતા 5 અસામાજિક તત્વોને દબોચી લઈ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
પોલીસ સ્ટેશન નજીક લાગ્યા પોસ્ટર
સુરત ઉપરાંત રાજકોટ અને જેતપુર શહેરના રસ્તાઓ પર કેટલાક ઈસમોએ રાત્રી દરમિયાન નુપુર શર્માને અરેસ્ટ કરોના પોસ્ટરો ચીપકાવ્યા હતા. અને તે પણ એક-બે નહીં પરંતુ મોટી સંખ્યામાં લગાવ્યા હતા જેથી કરીને વાહન ચાલકોની સીધી નજર તેના પર પડે તે રીતે લગાવ્યા હતા. જોકે આ પ્રકારના પોસ્ટરો ક્યાં તૈયાર થયાં અને ક્યા અસામાજિક તત્વો ભાઈચારા માટે મિસાલ અપાતા રાજકોટની શાંતિ ડહોળવાના પ્રયાસો કરી રહ્યા છે. તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
વિરોધના નામે હિંસા ફેલાવવાનું કામ કોણ કરી રહ્યા છે
મહત્વનું છે કે, એક તરફ નુપુર શર્માની કથિત ટિપ્પણીને લઈને અલકાયદાએ હુમલાની ધમકી આપી છે. જેના પગલે રાજ્યભરમાં અલર્ટ અપાયું છે.જ્યારે બીજી તરફ નુપુર શર્માને અરેસ્ટ કરો તેવી માગ સાથે કેટલાક અસામાજિક તત્વો ગુજરાતમાં હિંસા ભડકાવવાનું કામ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે, કોણ ગુજરાતની શાંતિમાં અશાંતિ ફેલાવવા માગે છે? વિરોધના નામે હિંસા ફેલાવવાનું કામ કોણ કરી રહ્યા છે? ત્યારે આવા તત્વોને પોલીસ જેલભેગા કરે જેથી શાંતિપ્રિય ગુજરાતમાં શાંતિ અને ભાઈચારાની ભાવના બની રહે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.