બહેનોએ સુપ્રીમમાં કરી અરજી, ભાઈ પાસેથી માતાની કસ્ટડી માગી
પુત્રે સુપ્રીમને કહ્યું, મોટું ઘર નથી માતાને કેવી રીતે રાખી શકું
પુત્રને જવાબ આપતા સુપ્રીમે કહ્યું, માતાને રાખવા મોટા ઘરની જરુર નહીં મોટા દિલની જરુર
વૃદ્ધ માતાપિતાની સંપત્તિ છીનવી લઈને તેમની સારસંભાળ ન લેનાર પુત્રોને માર્ગ ચીંધતા સુપ્રીમ કોર્ટે એક મહત્વની ટીપ્પણી કરી છે. પુત્ર દ્વારા માતાની સારસંભાળ ન લેવાના એક કેસની સુનાવણી કરતા સુપ્રીમના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠે એવું જણાવ્યું કે માતાની સંભાળ રાખવા માટે મોટા ઘરની નહીં, પણ મોટા દિલની જરૂર પડે છે.
વૃદ્ધ મહિલાની પુત્રીઓએ સુપ્રીમમાં કરી અરજી, માતાની કસ્ટડી માગી
વૃદ્ધ મહિલાની પુત્રીઓએ કોર્ટમાં અરજી કરી હતી કે, તેમનો ભાઈ માતાની સંભાળ રાખતો નથી, તેથી તેઓએ તેને કસ્ટડી આપવી જોઈએ. દીકરીઓએ જણાવ્યું કે તેમના ભાઈએ માતાની મોટી સંપત્તિ પોતાના નામે કરી લીધી છે અને હવે માતાની સંભાળ રાખી રહ્યો નથી. પુત્રીઓને આવી રજૂઆત સાંભળીને સુપ્રીમની ખંડપીઠે તાત્કાલિક મહિલાની જંગમ અને સ્થાવર મિલકત ટ્રાન્સફર પર સ્ટે મૂકી દીધો હતો. આ ઉપરાંત પુત્રીઓને માતાની કસ્ટડી સોંપવા અંગે તેમણે મંગળવાર સુધીમાં પુત્ર પાસે જવાબ માગ્યો છે.
કોર્ટે પુત્રના વકીલને સંભળાવ્યું, માતાની સંભાળ લેવા મોટા ઘરની નહીં મોટા દિલની જરુર
કોર્ટે કહ્યું કે હવે દીકરીઓએ માતાની જવાબદારી સંભાળવી જોઈએ. તમે તેમને મળી પણ શકો છો. પુત્ર તરફથી હાજર રહેલા એડવોકેટ શોએબ કુરેશીએ જણાવ્યું હતું કે પુત્રીઓ તેમના પરિવાર સાથે રહે છે અને તેમની પાસે તેમને રાખવાની જગ્યા નથી. આના પર કોર્ટે કહ્યું કે, "સવાલ એ નથી કે તમારી પાસે કેટલું મોટું ઘર છે પરંતુ ખરો સવાલ એ છે કે માતાની સંભાળ લેવા માટે મોટું દિલ જોઈએ.
ભાઈ માતાને મળવા દેતો નથી-પુત્રીઓનો આરોપ
વૃદ્ધ મહિલાની પુત્રીઓ પુષ્પા તિવારી અને ગાયત્રી કુમારે માર્ચમાં એક અરજી દાખલ કરી હતી જેમાં જણાવાયું હતું કે તેમની માતાને ફેબ્રુઆરીમાં ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને તેના ભાઈએ અજાણી જગ્યાએ રાખી છે અને તેને મળવા પણ દેવામાં આવતો નથી. કોર્ટે પુત્રને 89 વર્ષીય માતા વૈદેહી સિંહનું લોકેશન જાહેર કરવા માટે નોટિસ ફટકારી હતી. આના પર તેણે જણાવ્યું કે તે પોતાની માતાને બિહારના મુઝફ્ફરપુર સ્થિત પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ કોર્ટે આદેશ આપ્યો કે મહિલાની દીકરીઓને મળવા દેવામાં આવે.
કોર્ટે કહ્યું- માતાનું સ્વાસ્થ્ય ખરાબ છે અને તમે પ્રોપર્ટી ટ્રાન્સફર કરતા રહ્યા
18 એપ્રિલે કોર્ટે પટનાની મેદાંતા હોસ્પિટલને મેડિકલ બોર્ડની રચના કરવા અને મહિલાના સ્વાસ્થ્યની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. 28 એપ્રિલે હોસ્પિટલના મેડિકલ બોર્ડે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે વૈદેહી સિંહ ડિમેન્શિયાથી પીડિત છે. આના પર કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે માતાની તબિયત બગડ્યા બાદ પણ પુત્ર તેની સંપત્તિ ટ્રાન્સફર કરવામાં લાગી ગયો હતો. વૃદ્ધોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે, "દેશમાં વરિષ્ઠ નાગરિકો સાથે આ એક દુર્ઘટના છે. તે ગંભીરતાથી ચિત્તભ્રમણાનો શિકાર છે અને તમે તેની મિલકત વેચવામાં વ્યસ્ત છો. તમે તેમને કલેક્ટરની ઓફિસમાં પણ લઈ ગયા જેથી તમે અંગૂઠો મેળવી શકો. હવે અમે તેમની સંપત્તિથી સંબંધિત કોઈપણ આગળની પ્રક્રિયાને અટકાવીએ છીએ.