સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને એવી સલાહ આપી છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાયદાનું ઉલ્લંઘન કરનાર આરોપીઓને આગોતરા જામીન આપવામાં ના આવે.
આ દરમિયાન કોર્ટે GSTના ડિફોલ્ટર્સને જામીન નહીં આપવાના તેલંગણા હાઇકોર્ટના ચુકાદાને અકબંધ રાખ્યો હતો. આમ હવે GSTની ચોરી કરનાર આરોપીને આગોતરા જામીન મળશે નહીં. આ ઉપરાંત કોર્ટ દ્વારા એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે FIR દાખલ થયા વગર પણ GST ચોરી કરનારની ધરપકડ થઇ શકે છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે જોકે જણાવ્યું હતું કે GST ચોરી કરનાર આરોપીઓને જામીન આપવાની બાબતમાં વિવિધ હાઇકોર્ટોએ અલગ અલગ વલણ અપનાવ્યંુ છે, જેના કારણે ધરપકડની સત્તાની સમીક્ષા કરવી જરૂરી છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસની આગામી સુનાવણી માટે ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચને આ કેસ રિફર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે તેલંગણા હાઇકોર્ટનો ચુકાદો અકબંધ રાખતા વેપારીઓમાં હવે ગભરાટ ફેલાયો છે, જોકે GST નિષ્ણાતોનું કહેવું છે કે ધરપકડની જોગવાઇ નાના ડીલર્સને લાગુ પડશે નહીં, કારણ કે કાયદામાં બે કરોડથી વધુની ટેક્સ ચોરી પર જ ધરપકડ થઇ શકે છે અને પાંચ કરોડથી ઓછી કરચોરીના કિસ્સામાં ધરપકડના વોરંટ વગર ધરપકડ થઇ શકતી નથી. આમ, રૂ.બે કરોડ કરતા ઓછી રકમની GST ચોરી પર ધરપકડ કરી શકાય નહીં.
જો કોઇ ડીલર ટેક્સ ચોરીના ઇરાદાથી બિલ વગર માલ કે સેવાનો સપ્લાય કરે અને સપ્લાય વગર ચલણ જારી કરે તો પણ ધરપકડ થઇ શકે છે, કારણ કે માલ કે સેવાના સપ્લાય વગર ડીલર ખોટી રીતે ઇનપુટ ક્રેડિટ કે રિપોર્ટ લેતા હોય છે.