મુંબઇ: ભીમા કોરેગાવ હિંસા કેસમાં થયેલ 5 બુદ્ધીજીવીઓની ધરપકડ મામલે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચૂકાદો સંભળાવી શકે છે. આ કેસમાં પાંચ માનવાધિકાર કાર્યકર્તાઓ પર આરોપ લાગ્યા છે. વરવરા રાવ અરૂણ ફરેરા વરનોન ગોંજાલ્વિસ સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલખા પર આરોપ લગાવવામાં આવ્યા છે.
આ પાંચેય આરોપીઓને 29 ઓગસ્ટથી પોતાના ઘરે જ નજરકેદ રાખવામાં આવ્યા છે. અગાઉ પોલીસ દ્વારા આ તમામના રિમાન્ડની માગ કરવામાં આવી હતી જે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે 20 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 31 ડિસેમ્બરના રોજ અલ્ગાર પરિષદના સંમેલન બાદ રાજ્યના કોરેગાંવ-ભીમામાં હિંસાની ઘટના બન્યા બાદ નોંધાયેલ FIRના સંબંધમાં મહારાષ્ટ્ર પોલીસે આ તમામની 28 ઓગસ્ટના રોજ ધરપકડ કરી હતી.
આપને જણાવી દઇએ કે વડી અદાલતે 19 સપ્ટેમ્બરે આ મામલે જણાવેલ કે આ મામલા પર તીવ્ર નજર રાખવામાં આવે કારણ કે માત્ર અનુમાનના આધારે આઝાદીની બલી ના ચઢાવી શકાય.
આ મામલે વરિષ્ઠ અધિવક્તા આનંદ ગ્રોવર અશ્વિની કુમાર અને વકીલ પ્રશાંત ભૂષણે આરોપ લગાવ્યો હતો કે સમગ્ર મામલો મનઘડત છે અને પાંચ કાર્યકર્તાઓની આઝાદીના સંરક્ષણ માટે જરૂરી સુરક્ષા આપવામાં આવે.