સુપ્રીમ કોર્ટના આદેશના પાલનથી સામાન્ય લોકો પ્રત્યે પોલીસના વ્યવહારમાં પરિવર્તન જરૂર આવશે. પોલીસ પર જનતાનો વિશ્વાસ જળવાઈ રહે એ જોવાની જવાબદારી સિનિયર અધિકારીઓની છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ
દેશભરના પોલીસ સ્ટેશનમાં લાગશે સીસીટીવી
પોલીસતંત્ર સામે કોર્ટે નારાજગી વ્યક્ત કરી
સુપ્રીમ કોર્ટે દેશભરનાં પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવાનો જે આદેશ આપ્યો તે પોલીસ સુધારણાની દિશામાં ‘માઈલસ્ટોન’ ગણાશે. આ કેમેરા પોલીસ સ્ટેશનની તમામ સામાન્ય અને ખાસ જગ્યા પર લગાવવામાં આવશે.
તમામ પોલીસ સ્ટેશનમાં રાખવા પડશે સીસીટીવી
સુપ્રીમ કોર્ટે તેના મહત્ત્વપૂર્ણ આદેશમાં કહ્યું છે કે આ સીસીટીવી કેમેરા પોલીસ સ્ટેશનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્શન એરિયા, સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરના રૂમમાં, પોલીસ સ્ટેશન બહાર, વોશરૂમની બહાર પણ લગાવવા જોઈએઆટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું છે કે આ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ૧૮ મહિના એટલે કે દોઢ વર્ષ સુધી સાચવી રાખવું પડશે. ભારતીય બંધારણના અનુચ્છેદ-૨૧ હેઠળ દરેક ભારતીય નાગરિકને મળેલા જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારની રક્ષા માટે આ એક ખૂબ ઉપયોગી પગલું સાબિત થશે તેમાં કોઈ શંકા નથી.
ઘણા સેવાનિવૃત્ત પોલીસ અધિકારીઓ દૃઢપણે માને છે કે આજે પણ પોલીસબેડામાં સુધારણાની ઘણી જરૂર છે. ખાસ કરીને સામાન્ય લોકો પ્રત્યે પોલીસ કર્મચારીઓના વ્યવહારમાં સુધારો લાવવાની જરૂર છે. પોલીસના અડિયલ વલણ અંગે અવારનવાર ફરિયાદો ઊઠતી રહે છે, જેમ કે એફઆઈઆર ન નોંધવી, પોલીસ સ્ટેશનમાં લોકો સાથે ખરાબ વ્યવહાર કરવો, પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલા આરોપી સાથે લોકઅપમાં અમાનવીય વર્તન કરવું વગેરે.
દેશમાં કેટલાક સ્થળે તો સ્થિતિ એ હદે વણસી છે કે કોઈ પોલીસ અધિકારી સાદાં કપડાંમાં કોઈ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય તો તેમના મનમાં પણ ડર હોય છે કે ક્યાંક તેમની સાથે ગેરવર્તન ન થાય. સામાન્ય લોકો આજે પણ પોલીસ સ્ટેશનમાં પગ મૂકતાં ગભરાય છે અને આમ આદમીના આ ડરની પાછળ આપણી ભ્રષ્ટ વ્યવસ્થા જ જવાબદાર છે.
સુપ્રીમ કોર્ટેના આદેશથી ઘટી જશે અનેક સમસ્યા
સુપ્રીમ કોર્ટે એક એવો આદેશ જારી કર્યો છે, જેના અક્ષરસઃ પાલનથી અનેક સમસ્યાઓનું સમાધાન થઈ જશે. સુપ્રીમ કોર્ટના આ આદેશનું એકદમ યોગ્ય પાલન વરિષ્ઠ પોલીસ અધિકારીઓના સહયોગ વગર શક્ય નહીં બને.કેટલાક પોલીસ અધિકારીઓ માને છે કે ઈન્ટરોગેશન રૂમ એટલે કે પૂછપરછ રૂમમાં સીસીટીવી કેમેરા લગાવવાથી પોલીસ કર્મચારીઓની જ તકલીફ વધશે. અહીં કેમેરા લગાવવાથી કેટલીક ગુપ્ત માહિતીઓ, જેમના પર કેસમાં આગળ કાર્યવાહી થવાની છે તેની વિગતો વગેરે લીક થઈ જશે અને આ માહિતીનો દુરુપયોગ પણ થઈ શકે છે. આતંકવાદીઓ કે દેશ વિરોધી તત્ત્વોની પૂછપરછની સ્ફોટક માહિતી જો લીક થઈ ગઈ તો તેનાં ખૂબ ઘાતક પરિણામ પણ આવી શકે છે.આમ છતાં પણ સુપ્રીમ કોર્ટના આ આદેશના પાલનથી સામાન્ય લોકો પ્રત્યે પોલીસના વ્યવહારમાં પરિવર્તન જરૂર આવશે. પોલીસ પર જનતાનો વિશ્વાસ જળવાઈ રહે એ જોવાની જવાબદારી િસનિયર અધિકારીઓની છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે ફક્ત પોલીસ સ્ટેશન જ નહીં પણ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇ), નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી), ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) અને સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન જેવી સેન્ટ્રલ એજન્સીઓની ઓફિસમાં પણ ઓડિયો રેકોર્ડિંગ સાથેના સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે રાતોરાત આ આદેશ જાહેર નથી કર્યો
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે રાતોરાત આ આદેશ જારી નથી કર્યો. અઢી વર્ષથી સુપ્રીમના આદેશને ઘોળીને પી ગયેલા પોલીસતંત્ર સામે કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા આદેશનું પાલન અઢી વર્ષ પછી પણ ન થતાં કોર્ટે હવે તેને ફક્ત છ સપ્તાહની અંદર પૂરું કરવા માટે કહ્યું છે. કોર્ટે એ પણ કહ્યું કે દરેક પોલીસ સ્ટેશનના એસએચઓ સીસીટીવીના કામ, રેકોર્ડિંગ માટે જવાબદાર હશે. વર્ષ ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટે દેશમાં સતત વધી રહેલ કસ્ટોડિયલ ડેથ અને કસ્ટડીમાં અપાતી અમાનુષી યાતનાને રોકવા માટે દેશનાં દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવાનો આદેશ આપ્યો હતો.