સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં મરાઠઓને મળતી અનામત પર પ્રતિબંધ મૂક્યો છે.
સર્વોચ્ચ અદાલતની બેંચે કહ્યું કે હાલ આ બાબતને મંજૂરી આપી શકાય તેમ નથી. આ કેસની સુનાવણી એક મોટી બેંચ કરશે, જેની રચના ચીફ જસ્ટિસ કરશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ હુકમ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સીસના પ્રવેશને અસર કરશે નહીં, જે પહેલાથી જ થઈ ચૂક્યા છે.
જે લોકો અત્યાર સુધી ક્વોટામાં સ્થાન પામ્યા છે તેમની સ્થિતિને અસર નહીં થાય
આ કેસની સુનાવણી કરતા જસ્ટિસ L N રાવની અધ્યક્ષતા હેઠળની બેંચે કહ્યું કે આ નિર્ણયથી જે લોકો અત્યાર સુધી ક્વોટામાં સ્થાન પામ્યા છે તેમની સ્થિતિને અસર નહીં થાય. જેમને છેલ્લા લગભગ બે વર્ષમાં આ ક્વોટાનો લાભ મળ્યો હોય એવા લોકોને અદાલતના આ આદેશથી રાહત મળી છે.
ચીફ જસ્ટિસની બેંચ લેશે નિર્ણય
કોર્ટના આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને હાલના શૈક્ષણિક સત્રમાં ક્વોટાનો લાભ મળશે નહીં. બેંચે કહ્યું છે કે હાલમાં આ બાબત પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે અને તેની માન્યતા બંધારણીય બેંચ દ્વારા નક્કી કરવામાં આવશે. બંધારણીય બેંચનો અર્થ 5 કે તેથી વધુ ન્યાયાધીશોની બેંચ છે. આ મુદ્દે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા S A બોબડે નિર્ણય લેશે.
2018માં ભાજપ સરકારે મંજૂરી આપી હતી
2018માં તે વખતની ભાજપ સરકારના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્ર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અધિનિયમને મંજૂરી આપવામાં આવી હતી. આ કાયદા હેઠળ OBCની યાદીમાં મરાઠા સમુદાયને સમાવિષ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુંબઈ હાઈકોર્ટે કાયદાની માન્યતાને સમર્થન આપ્યું હતું
જૂન 2019માં મુંબઈ હાઈકોર્ટે કાયદાની માન્યતાને સમર્થન આપ્યું હતું. જો કે હાઈ કોર્ટે કહ્યું હતું કે નોકરીમાં આ ક્વોટા 12% થી વધુ ન હોવો જોઈએ. આ સિવાય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટેની તેની મર્યાદા 13% હોવી જોઈએ.